અમદાવાદ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભારતીય જનતા પાર્ટી તરફથી દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી છે. જેના પગલે આગામી સપ્તાહે સાતમી જુલાઈ યશવંત સિંહા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવી શકે છે. કોંગ્રેસના નેતાઓને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી અને મતદાન અંગે ચર્ચા ઉપરાંત જરૂરી માર્ગદર્શન આપશે. તેઓ કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ તેના મતદાન અંગે માર્ગદર્શન આપશે. યશવંતસિંહાની ગુજરાત મુલાકાત અંતર્ગત વિપક્ષ કોંગ્રેસના નેતા તેમજ પ્રદેશ પ્રમુખએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ફરજિયાત હાજર રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાષ્ટ્રપતિ પદ માટેના વિપક્ષના ઉમેદવાર યશવંતસિંહાએ ૨૭ જૂને તેમનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. સંસદ ભવન ખાતે તેમની સાથે કોંગ્રેસના રાહુલ ગાંધી, એનસીપીના વડા શરદ પવાર, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લાહ, ટીએમસીના અભિષેક બેનર્જી, સહિત ટીઆરએસ, ડીએમકે, સીપીઆઇએમ સહિતના વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી આગામી ૧૮ મી જુલાઈએ યોજાવાની છે. મતગણતરી ૨૧મી જુલાઈએ થશે. યશવંત સિંહાએ અટલ બિહારી વાજપાયીના નેતૃત્વ વાળી ૧૯૯૮ અને ૨૦૦૦ની સરકારોમાં નાણા અને વિદેશ પ્રધાન તરીકે કામ કર્યુ હતું. ૨૦૧૮માં ભાજપા છોડયા પછી તેઓ મોદી સરકારના સૌથી મોટા ટીકાકાર બની ગયા હતા. યશવંતસિંહાએ એક મીડિયા અહેવાલમાં કહ્યું હતું કે ભાજપા પાસે રાષ્ટ્ર પતિની ચુંટણી માટે પુરતા મત નથી અને તેઓ માને છે કે નોન ભાજપા પક્ષોનો તેમને ટેકો મળશે પણ અમે તે મત મેળવવા માટે સ્પેર્ધા કરી રહયા છીએ.


