આણંદ
આણંદ ના બોરસદ તાલુકાના રૂંદેલ ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં ત્રાટકેલા તસ્કરો દાનપેટીમાંથી રોકડ, દાગીના સહિત રૂ.૧.૧૦ લાખનો મુદ્દામાલ ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો. આણંદ જિલ્લામાં ચોરીના બનાવો વધી રહ્યા છે.ચારીના બનાવોથી નાગરિકોમાં ચિંતા પ્રસરી છે.આ ચોરો પોલીસ કામગીરીને પડકારી રહ્યા છે. બોરસદ તાલુકાના રૂંદેલ ગામની દુધની ડેરી પાસે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં હતાં. આ તસ્કરોએ મંદિરમાં આવેલા અંદરના દરવાજાના સળીયા તોડી મંદિરની અંદર પ્રવેશ કરી દાનપેટીનું લોક તોડી તેમાંથી રોકડ રૂ.૫૦ હજાર તથા દાનપેટીની અંદર સ્ટીલના ડબ્બામાં મુકેલા બે સોનાના મંગળસુત્ર જે આશરે એક તોલાના વજનના કિંમત રૂ.૬૦ હજાર મળી કુલ રૂ.૧.૧૦ લાખની મત્તાની ચોરી કરી ભાગી ગયાં હતાં. આ અંગે સેવાપુજા કરતાં ચંદુગીરી માયાગીરી ગોસાઇને જાણ થતાં તેઓએ તુરંત બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેના પગલે પહોંચેલી પોલીસ ટીમે જરૂરી તપાસ બાદ અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

