મુંબઈ
દેશમાં વર્ષ ૧૯૭૫માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ‘ઈમરજન્સી’ની આજે પણ ચર્ચા થઈ રહી છે અને કોંગ્રેસના વિરોધી પક્ષો આ સમયને સત્તા ટકાવી રાખવાના હથિયાર તરીકે ગણાવી રહ્યા છે. ‘ઈમરજન્સી’ ના સમય પર ફિલ્મ બનાવવાની કંગના રણોતે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે અને છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર અને ઈન્ટરવ્યૂ દરમિયાન કંગના અને ફિલ્મ ટીમ દ્વારા તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે. રિસન્ટલી, આ ફિલ્મમાં મહત્વનું કિરદાર નિભાવનારા પીઢ અભિનેતા અનુપમ ખેરના કેરેકટરનો લૂક શેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર જયપ્રકાશ નારાયણનું પાત્ર નિભાવી રહ્યા છે. જયપ્રકાશ નારાયણ ઈન્દિરા ગાંધીની નીતિઓના વિરોધી હતા અને ઈમરજન્સી સમયે પણ તેમણે ઈન્દિરા ગાંધીના ર્નિણયનો જાેરશોરથી વિરોધ કર્યો હતો. આ પાત્રમાં અનુપમ ખેરના સિલેક્શનથી ફિલ્મ પ્રત્યે ઓડિયન્સની ઉત્સુકતા વધી છે. અનુપમ ખેર અત્યાર સુધી વિવિધ ભાષાની ૫૦૦થી વધુ ફિલ્મોનો હિસ્સો બની ચૂક્યા છે અને તેઓના પાત્રને પણ ધારદાર ડાયલોગ્સ સાથે ઈન્દિરા ગાંધીનો સામનો કરતા દર્શાવવામાં આવશે તેવી દર્શકોને આશા છે. ફિલ્મ ટીમ દ્વારા અનુપમ ખેરના કિરદારનો લૂક જાહેર કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. અગાઉ, કંગનાનો ઈન્દિરા ગાંધીનો લૂક પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં તે, અસલ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી જેવી દેખાય છે અને તેના આ અવતારના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. કંગનાએ મેકઅપ માટે ઓસ્કાર એવોર્ડ વિનર હોલિવૂડ આર્ટિસ્ટની મદદ લીધી છે. આ ફિલ્મની સ્ટોરી કંગના રણોતે લખી છે. ફિલ્મના નિર્દેશનની કમાન પણ તેના જ હાથમાં છે. ‘ઈમરજન્સી’ ને રેણુ પિત્તી અને કંગના સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

