જમ્મુકાશ્મીર
જમ્મુ કાશ્મીરમાં આઈટીબીપી જવાનાની બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. કાશ્મીર સ્થિત પહેલગામના ચંદનવાડી વિસ્તારમાં આ બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. આ દુર્ઘટનામાં ૬ જવાનો શહીદ થયા છે. જ્યારે ૩૦ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે બસમાં કુલ ૩૯ જવાન સવાર હતા. જેમાં ૩૭ આઈટીબીપીના જવાન હતા અને બે જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે બ્રેક ફેઇલ થવાને કારણે બસ રોડની બાજુમાં ખાડામાં પડી હતી. આ જવાનોની અમરનાથ યાત્રા દરમિયાન ડ્યૂટી હતી. ૪૫ દિવસોની યાત્રા થોડા દિવસો પહેલા જ સમાપ્ત થઇ છે. આ પછી સુરક્ષા જવાનો પોત-પોતાના લોકેશન પર પરત ફરી રહ્યા છે. પરત ફરતી વખતે આ બસ દુર્ઘટના બની છે. બસ દુર્ઘટના સંબંધમાં આઈટીબીપીએ એક નિવેદનમાં કહ્યું કે ૩૯ કર્મીઓને લઇ જઈ રહેલી એક સિવિલ બસ બ્રેક ફેઇલ થવાને કારણે રસ્તા પરથી ઉતરી નદીમાં ખાબકી હતી. આ બસમાં સવાર જવાન ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ સંબંધમાં આગળની જાણકારીની પ્રતિક્ષા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટિ્વટ કરીને દુર્ઘટના પર પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે પહલગામ, જમ્મુ કાશ્મીરમાં આઈટીબી અને પોલીસ કર્મીઓને લઇ જઇ રહેલી એક બસ દુર્ઘટના વિશે જાણીને દુખી છું. મારી પ્રાર્થના અને સંવેદનાઓ શોક સંતપ્ત પરિવારો સાથે છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તે જલ્દીથી જલ્દી ઠીક થઇ જાય. ઇશ્વરને મારી આ જ પ્રાર્થના છે. દુર્ઘટનાનું વાસ્તવિક સ્થાન ફ્રિસલાન બતાવવામાં આવી રહ્યું છે. જે પહેલગામથી લગભગ ૧૬ કિલોમીટર દૂર છે. જવાનોને લઇ જઈ રહેલી બસ રસ્તામાંથી ઉતરીને લગભગ ૫૦૦ ફૂટ ઉંડા ખાડામાં પડી હતી. આઈટીબીપીના પીઆરઓએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે અમારા ૬ જવાનોના જીવ ગયા છે, ૩૦ ઇજાગ્રસ્ત બન્યા છે. અમે ઇજાગ્રસ્તોને હર સંભવ મદદ ઉપલબ્ધ કરાવીશું. આઈટીબીપી મુખ્યાલય સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.


