Gujarat

અમદાવાદમાં સોસાયટી રિડેવલપમેન્ટમાં સામૂહિક સંમતિથી સંમત થયાની પ્રથમ ઘટના બની

અમદાવાદ
ગુજરાત હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં સરકારી કાયદાની આંટીઘૂંટીના લીધે સભ્યો-બિલ્ડરો વચ્ચે સર્વસંમતિ સધાતી ન હોવાથી સંખ્યાબંધ સોસાયટીમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. નારણપુરાની ગુજરાત હાઉસિંગ બોર્ડની રામેશ્વર સોસાયટીના ૩૧૨ ફ્લેટ માલિકોની સામૂહિક સંમતિથી રિડેવલપમેન્ટ ફાઇનલ થઇ ગયું છે. આટલી મોટી સ્કીમ રિડેવલપમેન્ટમાં ગઇ હોવાની રાજ્યની પ્રથમ ઘટના છે. સોસાયટીના ૨૦,૭૪૯ ચોરસ મીટરપ્લોટમાં નવા ૫૦૦ મળી કુલ ૮૦૦ મકાનો અને ૧૦૦ દુકાનો બનશે. આતશબાજી કરી, મીઠાઇ વહેંચીને સભ્યો ગરબે ઘુમ્યા હતા. રિડેવલપમેન્ટ માટે શ્રીધર ઇન્ફ્રાકોન એલએલપી બિલ્ડરને કામ સોંપાયું છે. વર્ષ ૨૦૧૭થી સોસાયટીના રિડેવલપમેન્ટના પ્રયાસ ચાલે છે. શરુઆતમાં હાઉસિંગ બોર્ડની સાદી ફોર્મેટમાં બે વર્ષની મહેનત બાદ ૬૦ ટકા સભ્યોએ સંમતિ દર્શાવ્યા પછી નોટરી સંમતિ સાથે મિનિમમ ૭૫ ટકા સંમતિનો નિયમ આવતા કોરોનાની મહામારી વચ્ચે સભ્યોએ નવા નિયમ મુજબ સંમતિ આપી હતી. ૨૦૨૦માં ૭૫ ટકાથી વધુ સંમતિ મળી હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં બોર્ડની ઓનલાઇન પ્રક્રિયામાં ડેવલપરની ફાઇનલ નિમણૂક કરાઇ હતી. બે ભાગમાં પ્લાનનો સોસાયટીના સભ્યોએ વિરોધ કર્યા બાદ ડેવલપરે નવો પ્લાન મૂકતાં, જેનો સભ્યોએ સ્વીકાર કર્યો હતો. રિડેવલપમેન્ટના પ્લાન મુજબ ૧૪ માળના ૧૫ ટાવર બનશે. હાલ સભ્યો જે દિશામાં રહે છે, તે દિશામાં જ ફલેટ મળશે. ઉપરાંત નવા મકાનનું પઝેશન મળે નહીં ત્યાં સુધી મકાનનું ભાડું વાર્ષિક વધારા સાથે મળશે. એક બાજુનો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ મળશે. હયાત મકાન ૫૮ ચો.મી. છે. જેમાં ૪૦ ટકા પ્રમાણે ૨૨ ટકા વધુ એરિયાવાળું મકાન મળશે. અદ્યતન સુવિધા મળશે. તમામ સભ્યોને એક કાર અને બે ટુવ્હીલરનું પાર્કિંગ મળશે. રિડવેલપમેન્ટની પ્રક્રિયા બાદ સોસાયટીના રહીશોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *