Gujarat

હર ઘર જલ, ગૌરવવંતુ જામનગર, જન જનનું સ્વપ્ન થયું સાકાર પુસ્તકનું કૃષિમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું  

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત હર ઘર જલ યોજનાહેઠળ વર્ષ ૨૦૨૪ સુધીમાં દરેક ઘરમાં નળ કનેક્શન મારફતે પાણી પૂરું પાડવાનું લક્ષ્ય રહેલું છે. ગુજરાત સરકાર દ્વારા આ લક્ષ્યાંક વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પરિપૂર્ણ કરવાનો નિર્ધાર કરેલ છે, ત્યારે સરકારના વિવિધ કાર્યક્રમો હેઠળ વાસ્મો દ્વારા હર ઘર જલ યોજનાને સાકાર કરવા માટે ઘરોને નળ જોડાણની સુવિધા પૂરી પાડવા માટેની કામગીરી વેગવંતી કરવામાં આવી છે. તે અંતર્ગત જામનગર જિલ્લાના ૬ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોના ઘરો સુધી ૧૦૦% નળ જોડાણની કામગીરી પૂર્ણ થયાની કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા નાઘેડી ખાતેથી જાહેરાત કરવામાં આવી હતી. તેમજ હર ઘર જલ, ગૌરવવંતુ જામનગર જન જનનું સ્વપ્ન થયું સાકાર પુસ્તકનું કૃષિમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. 

કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ગત તારીખ ૦૯-૦૬-૨૦૨૨ના રોજ નાઘેડી સોસાયટી વિસ્તાર માટે રૂ. ૪૪.૫૦ લાખની યોજનાનું ખાતમુહુર્ત કર્યું હતું. જેનું આજ રોજ કૃષિમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તે બદલ મંત્રીશ્રીએ તમામ ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, નલ સે જલ કાર્યક્રમ હેઠળ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના તમામ ઘરોમાં ૧૦૦% હર ઘર નળ, હર ઘર જળનું લક્ષ્ય આજે પૂર્ણ થયું છે. છેવાડાના વિસ્તારોમાં પણ સરકારની તમામ યોજનાઓનો જન-જનને લાભ મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે હવે પાણીના ટેન્કર આવે તે બાબત ભૂતકાળ બની ચૂકી છે. 

જામનગર જિલ્લામાં ૯ જુથ યોજનાઓ હેઠળ ૧૭૫૦ કિલોમીટર લાંબી વિતરણ પાઈપલાઈન, ૧૩૦ એમ.એલ.ડી. ક્ષમતાના કુલ ૧૨ જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, કુલ ૬૧ સમ્પ/ભૂગર્ભ ટાંકાઓ તેમજ ૨૭ ઉંચી ટાંકીઓનો પાણીના સ્ત્રોતોની સાથે ગ્રામ્ય સ્તર સુધી પાણી સફળતાપૂર્વક પૂરું પાડવામાં  આવ્યું છે. જે અંતર્ગત, પાણી પુરવઠા વિભાગે રૂ. ૯૭.૬૧ કરોડની વિભિન્ન યોજનાઓ થકી ૧,૪૨,૦૮૪ ઘરોને ૧૯૮૦ કિમી પાઈપલાઈન, ૩૪૨ સમ્પ અને ૧૧૫ ઉંચી ટાંકીઓ દ્વારા પાણી પહોંચાડીને તમામ ઘરો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવાનો લક્ષ્યાંક પરીપૂર્ણ થયો છે. 

આ કાર્યક્રમમાં ઇજનેરશ્રી મહેરિયાભાઈએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વાસ્મો યુનિટ મેનેજર શ્રીમતી બી.બી. જાડેજા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી ધર્મેન્દ્રભાઈ રાજ્યગુરૂ, સરપંચશ્રી સુરાભાઈ બાંભવા, ગ્રામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Raghavjibhai-patel-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *