અમદાવાદ
સરકારી કર્મચારીઓને સરકારના નિયમ પ્રમાણે ઉચ્ચત્તર પગારનો લાભ લેવા માટે કોર્સ ઓન કમ્પ્યુટર કોન્સેપ્ટ (સીસીસી)નું પ્રમાણપત્ર ફરજિયાત છે. પરંતુ ઘણા શિક્ષકોને કમ્પ્યુટર ન આવડતું હોવાથી અને પગારવધારાનો લાભ લેવાની લાલચમાં ગેરરીતિ કરીને ખોટા સીસીસી પ્રમાણપત્ર લીધા હોવાનો ખુલાસો થયો છે. રાજ્યની હિસાબ અને તિજાેરી નિયામકની કચેરીએ શિક્ષણ સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખીતમાં જાણ કરી છે કે શિક્ષકોની સેવાપોથી અને રેકોર્ડની તપાસ કરતા ૪૯ શિક્ષકોએ સીસીસીના ખોટા અને બનાવટી સર્ટિફિકેટ રજૂ કર્યા હોવાનું જણાય છે. આ તમામ શિક્ષકો સામે શિસ્ત વિષયક તથા ફોજદારી કાર્યવાહી કરવા અને તેઓને મળેલા ઉચ્ચત્તર પગાર ધોરણના લાભો રદ્દ કરવા જણાવાય છે. આ ઉપરાંત તેઓને ચૂકવેલી રકમ રિકવરી કરવાની પણ પ્રક્રિયા કરવામાં આવે. શિક્ષકો પાસેથી પરત લેવાયેલી રકમને નાણાવિભાગમાં જમા કરાવવાની પણ સુચના અપાઇ છે. હાલમાં સરકારી કાર્યવાહી પ્રમાણે શિક્ષકોને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો અપાશે, ત્યારબાદ જે તે જિલ્લા શિક્ષણાધિકારી શિક્ષકો પર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. સીસીસીની પરીક્ષામાં ભૂતકાળમાં પણ ગેરરીતિની ફરિયાદો થઇ છે. તેની ફાઇલ એન્ટિ કરપ્શન બ્યુરો સુધી પહોંચી છે. જેમાં સીસીસીની પરીક્ષાના ચોક્કસ કેન્દ્રો પર જ પરીક્ષા લેવાતી, બાકીના કેન્દ્રોમાં ટેકનિકલ ખામીના બહાને પરીક્ષા રદ્દ કરાતી. પરીક્ષા ન આપી હોવા છતાં ઉપરના લેવલ પરથી સીસીસી પાસ હોવાનાં પ્રમાણપત્રો તૈયાર થઇ જાય છે. જાે પ્રમાણપત્રોની તપાસ એસીબી કે સીઆઇડીને સોંપાય તો મોટું કૌભાંડ બહાર આવે. અમે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ૪૯ શિક્ષકના નામ મોકલ્યા છે. બાદમાં જે તે જિલ્લા શિક્ષણાધિકારીની સુનાવણી પછી અંતિમ ર્નિણય લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ૫૦ વર્ષથી ઓછી ઉંમરના જે સરકારી કર્મચારીઓને કમ્પ્યુટર ન આવડતું હોય તેવા સરકારી કર્મચારીઓ ઇન્ક્રિમેન્ટ અને ઉચ્ચત્તર પગાર ધોરણની લાલચે સીસીસના ખોટા પ્રમાણપત્ર લેવા તૈયાર થઇ જાય છે. ઘણા કિસ્સામાં ૩૦ હજાર સુધીમાં પ્રમાણપત્રની ગોઠવણ થાય છે. જેમાં કર્મચારીએ માત્ર કમ્પ્યુટર પર બેસવાનું અને હાજર રહેવાનું હોય છે. બાકી બધી ગોઠવણ એજન્ટ મારફતે થાય છે.


