Gujarat

ખાણ-ખનીજની ઓફિસમાં અરજદાર અર્ધનગ્ન હાલતમાં પહોંચ્યો

ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, એક અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મજોઠ ગામના અરજદાર સોડાભાઈ નાગજીભાઈ વરુએ આ અનોખો વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી છે.

અરજદારના જણાવ્યા અનુસાર, મજોઠ ગામમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ સહિતના સરકારી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી, છતાં ભૂમાફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને આખરે તેમણે આ પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે.

અરજદારે મજોઠ ગામની નદીમાંથી રેતી ખનન અને સિંચાઈની જમીનમાંથી થતા ગેરકાયદેસર માટી ખનન બાબતે જામનગર શહેરની મુખ્ય ખાણ અને ખનીજ વિભાગની કચેરીને અલગ-અલગ તારીખોએ પુરાવા સાથે લેખિત અરજીઓ કરી હતી.

અરજદારે ગંભીર આક્ષેપ કર્યો છે કે, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ખનીજચોરો સાથે કથિત રીતે લાંચના કૌભાંડમાં સામેલ છે. આ જ કારણે આટલી ગંભીર ફરિયાદો અને પુરાવા આપવા છતાં માફિયાઓ વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.