અમરેલી
અમરેલી જિલ્લામાં રાજુલા-જાફરાબાદ વિસ્તારમાંથી પસાર થતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે હાઇવેના દબાણ ઉપર ડીમોલેશનની કામગીરી ૫ દિવસથી ચાલી રહી છે. મકાન, દુકાનો, હોટલ ધારકોને વળતર આપ્યા બાદ નોટિસો ફટકાર્યા પછી પણ દબાણ દૂર નહિ કરતા ડીમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે. બીજી તરફ રાજુલાના હિંડોરણા ગામ નજીક આશરે ૨૫ વર્ષ જૂનું મહાદેવનું મંદિર કણેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર રોડ ઉપર આવેલું છે અને અહીં ગ્રામજનોને કહેવા પ્રમાણે માત્ર ૪ ફૂટની જગ્યા માટે મંદિર ઉપર બુલડોઝર ફેરવી દીધું છે. અહીં જે તે સમયે સર્વે બાદ માત્ર ૧ લાખ ૯૦ હજાર રૂપિયા જેવી વળતર પેટે મંદિરની જમીન પેટે વળતર આપવામાં આવ્યું છે. પરંતુ આ મંદિર સાથે ગ્રામજનોની આસ્થા જાેડાયેલી હોવાને કારણે શિવભક્તોની નારાજગી જાેવા મળી રહી છે. નેશનલ ઓથોરિટી દ્વારા આ મંદિર પર બુલડોઝર ફેરવી દેવાયું છે. જાેકે, નેશનલ ઓથોરિટીના નિયમ પ્રમાણે મંદિર રોડ ઉપર હોવાને કારણે કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમ છતાં ગ્રામજનોમાં નારાજગી સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીં વર્ષોથી આ મહાદેવનું મંદિર અમારું આસ્થાનું પ્રતીક હતું. નેશનલ ઓથીરીટીએ માત્ર ૪ ફૂટની જગ્યા માટે બુલડોઝર ફેરવી દીધું છે અને સામેની સાઈડ ગૌ ચરણ, સરકારી જમીન ખાલી જ હતી. જાે સામેની સાઈડ વધારી દીધી હોત તો આ મંદિર બચી ગયું હોત.


