અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ દ્વારા
ભારત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારના જીએલપીસી વિભાગના સહયોગથી શ્રી ઉમિયા પટેલ કેળવણી મંડળ, વીરપુર(ગીર), ધાવા રોડ ખાતે ચાલતી દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના(ડીડીયુ-જીકેવાય)ના તાલીમ કેન્દ્રનું ઉદઘાટન ગીર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વાય.ડી.શ્રીવાસ્તવના હસ્તે થયું હતું. આ તાલીમ કેન્દ્રમાં વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની નિ:શુલ્ક સુવિધા સાથે જ સેક્રેટરી(ઓફિસ વર્ક)નો કોર્સ તેમજ બેઝિક કમ્પ્યુટર, સ્પોકન ઈંગ્લિશ સહિતના કોર્સ વિનામૂલ્યે શીખવવામાં આવશે. જે ઉમેદવારને ૧૦૦% નોકરીની ગેરંટી આપે છે.
આ તકે શ્રી વાય.ડી.શ્રીવાસ્તવ સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રના રોજગારી ઈચ્છુક તેમજ ગરીબી રેખા નીચે આવતા યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક એટલે દિન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના. આ કાર્યક્રમ નોકરી ઈચ્છુક યુવક યુવતીઓને તાલીમ આપીને નોકરી આપવા માટે સક્ષમ બનાવે છે. અજ્ઞાન એ અંધકાર છે. ધો.૧૦ અથવા ધો.૧૨ પછી શું કરવું? કઈ રીતે કરવું? આવા મૂંઝવતા સવાલોના જવાબ માટે આ યોજના આશાસ્પદ છે.
જ્યારે ડીએલએમ શ્રી પુનિતાબહેન ઓઝાએ જણાવ્યું કે જેમ હીરાને ઘસીને વધુ ચળકાટભર્યો બનાવવામાં આવે છે બસ એમ જ આ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગીલક્ષી વિકાસ પર ભાર આપે છે. જેમાં કોમ્પ્યુટર તાલીમ અને અંગ્રેજી પર ખાસ ભાર આપવામાં આવે છે. જે વિદ્યાર્થીના કૌશલ્યની વધુ ધાર કાઢવા સક્ષમ છે. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને કીટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર સંકુલ તેમજ કાર્યક્રમ અંગે વિદ્યાર્થીઓએ હકારાત્મક પ્રતિભાવ પણ આપ્યા હતાં.
આ કાર્યક્રમમાં ડીડીયુ-જીકેવાય સેન્ટર મેનેજર શ્રી ગૌતમભાઈ એસ પરમારે સમગ્ર યોજના વિશે ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ યુવક-યુવતીઓ લાભ લે એવી અપીલ કરી હતી. આ તકે તાલાળા તાલુકા વિકાસ અધિકારી શ્રી કૌશિકભાઈ પરમાર, પ્રોજેક્ટ હેડ યોગીતાબહેન,ઉમીયા પટેલ સંકુલના ટ્રસ્ટીશ્રીઓ,વાલીઓ તેમજ તાલીમાર્થીઓએ પણ બહોળા પ્રમાણમાં હાજરી આપી હતી.ગીર સોમનાથ-જુનાગઢ-પોરબંદરના વિદ્યાર્થીઓને મળશે લાભ, વધુ માહિતી માટે ૭૦૬૯૦૯૯૨૭૧ નંબર પર સંપર્ક કરવો હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું
