ડાંગ
ડાંગ જિલ્લાના સાપુતારા નજીક આવેલા નવાગામ વાસીઓ દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે આજરોજ મંત્રી નરેશ પટેલ (આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા ગુજરાત રાજ્ય)ને આવેદનપત્ર આપી જમીન પટ્ટાના હક્કની માંગણી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા નજીકના નવાગામ ખાતે વસવાટ કરી ધંધો રોજગાર મેળવનાર લોકો દ્વારા જમીન પ્લોટ માંગણી બાબતે મંત્રી નરેશ પટેલને આવેદન આપવામાં આવ્યું હતું. થોડાં દિવસ પહેલાં રાજ્ય સરકાર દ્વારા નવાગામ વાસીઓને જમીન હક્ક પત્રક આપ્યાં હતાં. જેમાં ૧૭ પરિવારના લોકો જમીન હક્કથી વંચિત રહી જતાં તેઓએ જમીન પ્લોટ હક માટે માંગણી કરી છે. આવેદનમાં જણાવ્યા અનુસાર, ૧૨/૦૨/૨૦૨૨ના રોજ નવાગામ વાસીઓને જમીન હક્ક પત્રક આપ્યા હતા. પરંતુ ૧૭ જેટલાં લોકો જેઓ અન્ય જિલ્લા રાજ્યમાંથી નવાગામ ખાતે વસવાટ કરતાં હોવાથી તેઓને જમીન હક્ક આપવામાં આવ્યા નથી. તેઓના જણાવ્યા અનુસાર માપણી વખતે તેઓના પ્લોટની પણ માપણી કરવામા આવતી હતી. તેઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી તેઓ હાલ જમીનની માંગણી કરી રહ્યાં છે. છેલ્લા ૪૦ વર્ષથી તેઓ નવાગામ ખાતે વસવાટ કરી રહ્યા છે અને અન્ય લોકોને ૯૯ વર્ષના ભાડાપેટે રૂપિયા ૧ના ટોકનથી પ્લોટ ફાળવણી કરવામા આવી છે, તો તેઓની માગ છે કે, તેઓને પણ જમીન ફાળવણી માટે પ્લોટ આપવામા આવે.


