ભચાઉ
દેશમાં અત્યારસુધીના સૌથી મોટી વસ્તુ અને સેવા ઉપકર તેમજ આયકર વિભાગના દરોડા અંગે મળતી માહિતી મુજબ કાનપુર ખાતે કન્નૌજમાં પાડવામાં આવેલા આ દરોડામાં હાલે ૨૭ અધિકારી કુલ ૧૯ મશીન સાથે ઝડપાયેલાં નાણાંની ગણતરી કરી રહ્યા છે. આરોપી પીયૂષ જૈને ફુલ ૧૮ લોકરમાં નાણાં રાખ્યાં હતાં, જેના માટે ૩૦૦ ચાવી હતી. જે લોકરને ગેસ કટરની મદદથી તોડવામાં આવ્યાં હતાં. આમ, આ અધિકારીઓ દિવસ-રાત જાેયા વિના પોતાની ફરજ બજાવી રહ્યા છે.દેશમાં અત્યારસુધીના સૌથી મોટા જી.એસ.ટી-આઇ.ટી.ના દરોડો કન્નૌજમાં પાડવામાં આવ્યો છે, જેમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈન પાસેથી ૨૯૦ કરોડ જેટલું કાળું નાણું હજુ સુધી મળી આવ્યું છે અને હજુ પણ દરોડાની કામગીરી ચાલુમાં છે. આ દરોડામાં મૂળ કચ્છના અમદાવાદ જીએસટી વિભાગમાં ફરજ બજાવતા આઇ.આર.એસ. ધર્મવીરસિંહ રણજિતસિંહ જાડેજાની અહમ ભૂમિકા રહી છે. લગભગ ૬૦ કલાકથી પણ વધુ સમયથી ચાલી રહેલા આ દરોડામાં મુખ્ય ભાગ ભજવનાર મૂળ ભચાઉ તાલુકાના મોટી ચીરાઈ ગામના અને વ્યવસાય અર્થે અંજારમાં સ્થાયી થયેલા રણજિતસિંહ જાડેજાના સુપુત્ર ધર્મવીરસિંહ જાડેજાએ એકથી દસ ધોરણ સુધી અંજારની ખાનગી શાળામાં અભ્યાસ કર્યા બાદ ધો ૧૧ અને ૧૨ કોમર્સ ગાંધીધામ અને કોલેજ અમદાવાદમાં પૂર્ણ કરી છે. એ બાદ યુ.પી.એસ.સી.ની તૈયારીમાં લાગી ગયા હતા. યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા બાદ હાલ અમદાવાદમાં જી.એસ.ટી. વિભાગમાં જ આઈ.આર.એસ. અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૫માં યુ.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કર્યા બાદ વર્ષ ૨૦૧૫-૧૬ ટ્રેનિંગ અને ૨૦૧૬- ૧૭માં અમદાવાદમાં ફરજ પર હાજર થયા હતા. રાષ્ટ્રની બેનામી સંપત્તિને જપ્ત કરાવનાર જાંબાજ અધિકારી ધર્મવીરસિંહ જાડેજા સાથે ભાસ્કરે ટેલિફોનિક વાતચીત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે કલાકોથી આ દરોડાની કામગીરી ચાલુ છે અને મોટા મહેકમ સાથે અમે આ કામગીરી કરી રહ્યા છીએ. હાલ આ કેસ બાબતે વધુ કઈ કહી શકાય એમ નથી, પરંતુ આંકડો હજુ વધે એવી શક્યતાઓ છે.
