હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવનશૈલીને કારણે સામાન્ય જનમાં પણ લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, કિડનીના રોગો, વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે ત્યારે રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષાકવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો જામનગર જિલ્લાકક્ષાનો કાર્યક્રમ કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ઉમિયાજી પરિવાર પટેલ સમાજ, ફલ્લા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સાથે જ મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અતિ વ્યસ્ત જીવનશૈલીના કારણે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર પરંતુ બિનચેપી અને છુપી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. સામાન્યત: ગંભીર બાહ્ય દેખાતી બીમારીઓ સિવાય આપણે નાની તકલીફો સમયે તપાસ કરાવવાનું ટાળીએ છીએ જે મોટી બિમારી નોતરે છે ત્યારે આ અભિયાન હેઠળ રાજ્યમાં બિન ચેપી રોગથી લોકોની કાળજી લેવા ૩૦થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રિનિંગ તપાસ કરવામાં આવશે જેનો બહોળી જનતાએ લાભ લેવો જોઇએ. વળી, લોકો આરોગ્યના જંગી ખર્ચના ડરના કારણે પણ તપાસ કરાવવા અંગે તકલીફ અનુભવતા હોય છે તે સમયે સરકાર દ્વારા વિનામૂલ્યે સ્ક્રીનીંગ થી સારવાર સુધીની સેવા મળવાથી દરેક વર્ગના લોકોને લાભ થશે.
સ્વસ્થ જીવન, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રની પહેલ માટે “પહેલુ સુખ તે જાતે નર્યા” કહેવતને ધ્યાને લઇ લોકો આ અભિયાન હેઠળ આરોગ્ય તપાસ કરાવી સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવે તેવી અભ્યર્થના મંત્રીશ્રીએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે ટોકન રૂપે પ લોકોને નિરામય કાર્ડ આપવામાં આવ્યાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડના લાભાર્થીઓને ડિજિટલ હેલ્થ આઈ.ડી. આપવામાં આવ્યાં હતાં. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ ઉપસ્થિત સૌ કોઈએ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે નિરામય ગુજરાત અભિયાન હેઠળ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, મોઢા-સ્તન તથા ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, પાંડુ રોગ (એનિમિયા), કેલ્શિયમની ઉણપ સહિતની બીમારીઓને આવરી લેવાઇ છે જે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઉમિયાજી પરિવાર પટેલ સમાજના પરિસરમાં સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, લેબોરેટરી વિભાગ, ચામડી રોગ વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, દાંત વિભાગ, આયુષ્યમાન ભારત કાર્ડ વિભાગ, આયુર્વેદ વિભાગ, દવા વિભાગ સહિતની વ્યવસ્થા નાગરિકો માટે વિનામુલ્યે ઉપલબ્ધ કરાવાઇ હતી મંત્રીશ્રીએ વિભાગોની મુલાકાત લઇ વ્યવસ્થાઓને નિહાળી લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઇ ચનિયારા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, પ્રભારી સચિવશ્રી નલીન ઉપાધ્યાય, કલેકટરશ્રી ડો. સૌરભ પારધી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી દિલીપ ભોજાણી, પ્રાંત અધિકારી(ગ્રામ્ય) શ્રી અક્ષય બુડાનીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પાર્થ કોટડિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી બથવાર, ડો.વિનુભાઇ ભંડેરી, જી.જી.હોસ્પિટલના અધિક્ષકશ્રી દિપક તિવારી, ડીન શ્રી નંદિની દેસાઇ, અધિક ડિન શ્રી એસ.એસ.ચેટરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
