તા.રજી ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા જલ જીવન મિશન તથા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રીએ સમગ્ર ખેડા જિલ્લાને સ્વચ્છતા અને સ્વચ્છ જલ મિશન અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. ખેડા તાલુકાના વાસણા ગામના ગ્રામજનોને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી સ્વચ્છ ભારત નિર્માણ જાગૃતિ કાર્યક્રમ, કોવિડ-૧૯ રસીકરણ માટે જનજાગૃતિ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળો અટકાવવાના કાર્યમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. તેમજ ૧૫માં નાણાપંચમાંથી થતા વિવિધ કામો તેમજ માર્ગદર્શિકાથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રામજનો દ્વારા ક્લેક્ટરશ્રીને રસ્તા, પાણી, દબાણના પ્રશ્નોની રજૂઆતો સાંભળી નિરાકરણ અર્થે સંબંધિત શાખાને જણાવવામાં આવ્યું હતું.
ગ્રામસભામાં આઝાદીના અમુત મહોત્સવના ૭૫ વર્ષના વિષય પર ઉદબોધન અને સંવાદ કરવામાં આવ્યા હતા. ૩૧મી ઓક્ટોબર ૨૦૨૧ દરમ્યાન દરેક ગામોમાં કાર્યક્રમો યોજાશે જેમાં સ્વચ્છતા અભિયાન, સાફ-સફાઇને પ્રાધાન્ય આપી તમામ લોકો સ્વયંભુ જોડાય તે માટે કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મેહુલભાઇ દવે, તાલુકા વિકાસ અધિકારીશ્રી મામલતદારશ્રી, સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


