નડિયાદ
નડિયાદ તાલુકાના માંધરોલી ગામે વાટામાં રહેતા ૩૨ વર્ષીય જસવંત મહિપતસિંહ સોલંકી અગાઉ નડિયાદ સ્થિત એસઆરજી ફાયનાન્સ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામગીરી કરતાં હતા. આ ફાઈનાન્સની ઓફિસ શહેરના સંતરામ રોડ પરના સેન્ટર સ્ક્વેરના ચોથા માળે આવેલી છે. જેમાં રિકવરી ઓફીસર તરીકે કઠલાલના પીઠાઈના ખારીયા સીમમાં રહેતા વિષ્ણુ પ્રવિણસિંહ ડાભી ફરજ બજાવતા હતા. વિષ્ણુનું કામ ફાઈનાન્સના ગ્રાહકો પાસેથી નાણાં રિકવર કરી તે નાણાંને ફાઈનાન્સમાં જમા કરાવવાનું હતું. જેના અંતર્ગત ગત ફેબ્રુઆરીથી એપ્રિલ માસ દરમિયાન વિષ્ણુએ ૯ જેટલા ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા ૨ લાખ ૨૬ હજાર ૮૬૦ કંપનીના નાણાં રિકવર કર્યા હતા. જેના પછી વિષ્ણુએ ફરજ પર આવવાનું એકાએક બંધ કરી દીધું હતું. તેમજ ઉપરોક્ત નાણાં કંપનીમાં જમા પણ નહોતા કરાવ્યા. વિષ્ણુ પોતાની ફરજ પર ન હોવા છતાં પણ તેણે આજ દિન સુધી વધુ ૫ જેટલા ફાઈનાન્સ કંપનીના ગ્રાહકો પાસેથી કુલ રૂપિયા ૩ લાખ ૧૫ હજાર મેળવી લીધા હતા. જેની ખોટી રસીદો પણ બનાવી તેણે ગ્રાહકોને આપી હતી. ખેડા જિલ્લાના નડિયાદમાં ફાઈનાન્સ કંપનીના રિકવરી ઓફિસરે જ પોતાની કંપની સાથે લાખો રૂપિયાનો ચુનો ચોપડી છેતરપિંડી આચરી હતી. આ રિકવરી ઓફિસરે કંપનીના ૧૪ જેટલા ગ્રાહકો પાસેથી કુલ રૂ. ૫ લાખ ૪૧ હજાર ૮૬૦ રૂપિયા ખંખેરી લઈ કંપનીમાં જમા નહી કરાવતાં રિકવરી ઓફીસર સામે નડિયાદ ટાઉનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. ઉપરોક્ત છેતરપિંડીની જાણ ફાઈનાન્સ કંપનીના કર્મીઓને થતાં તેઓ વિષ્ણુના ઘરે તપાસ આદરવા ગયા તો તે ત્યાં હાજર નહોતો. આમ ગત ફેબ્રુઆરીથી આજ દિન સુધી ખોટી રીતે કુલ રૂપિયા ૫ લાખ ૪૧ હજાર ૮૬૦ ગ્રાહકો પાસેથી ઉઘરાવી આ નાણાંને ફાઈનાન્સ કંપનીમાં જમા નહી કરાવતાં બ્રાન્ચ મેનેજર જસવંત સોલંકીએ રિકવરી ઓફીસર વિષ્ણુ ડાભી સામે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે આઈપીસી ૪૨૦ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી


