મુંબઈ ,
સમગ્ર દેશમાં લોહીનો વેડફાટ થતો અટકાવવા માટે બ્લડ બેન્કો અને રાજ્યના અધિકારીઓ વચ્ચે યોગ્ય સમન્વય હોવો જરૃરી છે. ઉપરાંત આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરૃણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને મણીપુર જેવા રાજ્યોના અનેક જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી જેના કારણે લોહીનો પૂરતો સંગ્રહ નથી થઈ શકતો.કોવિડની બીજી લહેરનો કારમો માર ભોગવી ચુકેલા મહારાષ્ટ્રએ તેમાંથી કોઈ ધડો ન લીધો હોય તેવા સમાચાર સામે આવ્યા છે. દેશમાં લોહીની કારમી અછત વચ્ચે રાજ્યમાં લોહીનો બેફામ વેડફાટ થઈ રહ્યો હોવાની જાણકારી મળી છે. રાજ્યમાં રોજના ૩,૦૦૦ યુનિટ લોહીની જરૃર પડે છે જ્યારે તેની પાસે ૪૩,૦૦૦ યુનિટનો જ સ્ટોક છે. કોવિડ મહામારીને કારણે રાજ્યમાં બ્લડ ડોનેશનમાં પણ કમી આવી હતી. આવી સ્થિતિમાં હજારો યુનિટ લોહી વેડફાતું હોવાની ચોંકાવનારી જાણકારી મળી છે. વિશેષજ્ઞાોના મતે આમ બનવા પાછળનું મુખ્ય કારણ છે બ્લડ ડોનેશન કેમ્પમાં એકત્ર કરાતા લોહીનો યોગ્ય સંગ્રહ નથી કરાતો. એક તરફ ઉત્સાહી લોકો બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરવા લાઈન લગાવે છે ત્યારે તેમને જાણ નથી હોતી કે તેમણે દાન કરેલું લોહી કોઈ દરદીને ઉપયોગમાં આવશે કે તેને ફેંકી દેવામાં આવશે. એક અહેવાલ મુજબ સમગ્ર દેશમાં બ્લડ બેન્ક દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ૨૮ લાખ યુનિટથી પણ વધુ લોહી ફેંકી દેવામાં આવ્યું છે. આટલા લોહીની ગણતરી જાે લીટરમાં કરવામાં આવે તો ૬ લાખ લીટર એટલે કે પાણીના ૫૩ ટેન્કર ભરાય એટલું લોહી વેડફી નાખવામાં આવ્યું છે. ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના જણાવ્યા મુજબ બ્લડ ડોનેશન કેમ્પમાં ૫૦૦ યુનિટ એકત્ર થાય ત્યાં સુધી તેનો સંગ્રહ શક્ય બને છે. પણ જ્યારે ૧,૦૦૦થી ૩,૦૦૦ યુનિટ એકત્ર કરાય ત્યારે વધારાના લોહીનો સંગ્રહ નથી થઈ શકતો. તેમણે જણાવ્યું કે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી આપવાની બદલે લોકોએ નિયમિતપણે દર ત્રણ મહિને બ્લડ બેન્કમાં જ લોહી આપવું જાેઈએ. આવું ત્યારે બની રહ્યું છે જ્યારે દેશમાં લોહીની દર વર્ષે સરેરાશ ૩૦ લાખ યુનિટની અછત વર્તાય છે. લોહીની અછતનું સૌથી વધુ નુકસાન અકસ્માત પીડિતો તેમજ પ્રસૂતા મહિલાઓને થાય છે. લોહીના વેડફાટમાં દેશના અન્ય રાજ્યોની સરખામણીએ મહારાષ્ટ્ર સૌથી આગળ છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને તામિલ નાડુનો ક્રમ આવે છે.


