નવીદિલ્હી
રશિયા-યુક્રેન યુદ્ધ ૧૧માં દિવસમાં પ્રવેશી ગયું છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટા પાયે ‘ઓપરેશન ગંગા’ ચલાવી રહ્યું છે. આ અંતર્ગત યુક્રેનથી ૧૮૩ ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગેરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. આ સિવાય યુક્રેનથી બહાર કાઢવામાં આવેલા ૨૧૦ ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુકારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ પહોંચી છે. રોમાનિયાના બુકારેસ્ટથી ૧૮૨ ભારતીયોને લઈને એક વિશેષ ફ્લાઈટ મુંબઈ આવી હતી. આ તમામ ભારતીયો યુક્રેનથી રોમાનિયા પહોંચ્યા હતા. રશિયાના હુમલાઓને કારણે યુક્રેનની સ્થિતિ ઝડપથી બગડી છે. ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે યુક્રેન સંકટ પર ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. વડાપ્રધાનની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, દ્ગજીછ અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા સહિત અનેક અધિકારીઓ હાજર હતા. યુકે પર રશિયન હુમલા બાદ અત્યાર સુધીમાં લગભગ ૧૩,૩૦૦ ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે ૨૪ ફેબ્રુઆરીએ રશિયાની સૈન્ય કાર્યવાહી શરૂ થયા બાદ યુક્રેનિયન એરસ્પેસ બંધ છે. આવી સ્થિતિમાં ભારત યુક્રેનના પડોશી દેશો – રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડમાંથી તેના નાગરિકોને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, ગોફર્સ્ટ, સ્પાઈસ જેટ અને એર એશિયા ઈન્ડિયા દ્વારા સંચાલિત ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ઉપરાંત, ભારતીય વાયુસેના યુક્રેનથી ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકારને મદદ કરી રહી છે. યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે ૧૧ ફ્લાઈટ મારફતે ૨,૨૦૦થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ ૩૦૦૦ ભારતીયોને ૧૫ ફ્લાઈટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે શનિવારે યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને અંદર રહેવાની સલાહ આપી હતી, જ્યારે વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોરની ખાતરી આપતાં કહ્યું હતું કે રશિયન અને યુક્રેનિયન બંને સરકારો સાથે વાતચીત ચાલી રહી છે.


