નવીદિલ્હી
દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાં ગોળીઓના અવાજથી અફરા તફરી મચી હતી. બાદમાં જાણવા મળ્યું કે આ ગોળીબાર ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં બે વકીલો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાેકે પોલીસ અધિકારીઓ આ વાતને નકારી રહ્યા છે. ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલાની તપાસના આદેશ આપ્યા હતા. સુરક્ષા તપાસ દરમિયાન વકીલો અને સુરક્ષાકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી એક સૈનિકે ગોળીબાર કર્યો. ફાયરિંગનો અવાજ સાંભળીને લોકો સલામત સ્થળ તરફ ભાગવા લાગ્યા. તેઓએ વિચાર્યું કે કોર્ટ પરિસરમાં ફરી ગેંગ વોર છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે પોલીસકર્મીએ ગોળી ચલાવી હતી. ઘટના બાદ તરત જ દિલ્હી પોલીસના અધિકારીઓ પહોંચી ગયા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી.
