નવીદિલ્હી
નેપાળના વડાપ્રધાન દેઉબાએ મીડિયાને આપેલા તેમના નિવેદનમાં કહ્યું કે બંને દેશો વચ્ચે સરહદ મુદ્દા પર ચર્ચા થઈ અને મોદીને દ્વિપક્ષીય મિકેનિઝમ સ્થાપિત કરીને તેનો ઉકેલ લાવવા વિનંતી કરી. દેઉબાએ કહ્યું કે ભારત સાથે નેપાળના સંબંધો અત્યંત મહત્વપૂર્ણ છે. વાટાઘાટો પછી, બંને વડાપ્રધાનોએ બિહારના જયનગર અને નેપાળના કુર્થા વચ્ચે પ્રથમ બ્રોડ-ગેજ પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે નેપાળના પીએમ શેર બહાદુર દેઉબા સાથે મુલાકાત કરી હતી. રેલવે અને ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવા માટે બંને પક્ષો વચ્ચે ચાર કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બંને દેશો ઘણા ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ માટે પ્રતિબદ્ધ છે. આ દરમિયાન પીએમ મોદીએ મીડિયાને સંબોધતા કહ્યું કે ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદોનો દુરુપયોગ ન થવો જાેઈએ. તેમણે કહ્યું, આજે અમે ચર્ચા કરી કે ભારત અને નેપાળની ખુલ્લી સરહદોનો અનિચ્છનીય તત્વો દ્વારા દુરુપયોગ ન થવો જાેઈએ. અમે અમારી સંરક્ષણ અને સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગાઢ સહયોગ જાળવવા પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત અને નેપાળની મિત્રતા, આપણા લોકોના પરસ્પર સંબંધો, આવું ઉદાહરણ વિશ્વમાં બીજે ક્યાંય જાેવા મળતું નથી. આપણી સભ્યતા, આપણી સંસ્કૃતિ, આપણા વિનિમયના દોરો પ્રાચીન સમયથી જાેડાયેલા છે. અનાદિ કાળથી આપણે એકબીજાના સુખ-દુઃખના સાથી છીએ. તેમણે કહ્યું કે ભારત નેપાળની શાંતિ, સમૃદ્ધિ અને વિકાસની યાત્રામાં મજબૂત ભાગીદાર રહ્યો છે અને રહેશે. મોદીએ કહ્યું કે બંને પક્ષો વચ્ચે પાવર કોપરેશન પર સંયુક્ત નિવેદન આ ક્ષેત્રમાં ભાવિ સહયોગની ‘બ્લુ પ્રિન્ટ’ સાબિત થશે. તેમણે કહ્યું કે નેપાળની હાઈડ્રોપાવર ડેવલપમેન્ટ યોજનાઓમાં ભારતીય કંપનીઓની વધુ ભાગીદારી પર સમજૂતી થઈ છે. પીએમ મોદીએ કહ્યું કે નેપાળમાં રુપે કાર્ડની રજૂઆત આપણા નાણાકીય જાેડાણમાં એક નવો અધ્યાય ઉમેરશે. નેપાળ પોલીસ એકેડમી, નેપાળગંજમાં ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ, રામાયણ સર્કિટ વગેરે જેવા અન્ય પ્રોજેક્ટ પણ બંને દેશોને નજીક લાવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને ખાસ ખુશી છે કે નેપાળ ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનું સભ્ય બન્યું છે. આ આપણા પ્રદેશમાં ટકાઉ, સસ્તી અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપશે.


