અંકલેશ્વરમાં ઇદે મિલાદુન્નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઇદે મિલાદુન્નબી તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસ રૂપી રેલીઓ નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.
સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વસલ્લમના સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબીની પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર-ઠેર ઝૂલૂસ આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે. અંકલેશ્વરમાં પણ ઉત્સાહભેર ઇદે મિલાદની ઉજવણી કરાઈ છે. જેમાં ઇદે મિલાદનું જુલુસ શહેરના કસ્બાતી વાડ આમલી ખો ખાતેથી નીકળી કાગડીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લા વાડ થઈ કાજી ફળિયાથી હઝરત હલીમશાહ દાતાર ભંડારી (ર.અ.)ની દરગાહ શરીફ ખાતે બાલ મુબારક જિયારત કરાવી જુલૂસનું સમાપન કરાવામાં આવશે.
અંકલેશ્વર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા તેમના વિસ્તારોમાં આવેલી દરગાહો, મહોલ્લા, મસ્જિદો અને શેરીઓને રોશનીથી શણગારી ઠેર ઠેર લાઈટીંગ-પોસ્ટરો લગાવી સજાવવામાં આવ્યા છે. આ પ્રસંગે ઇદે મિલાદુન્નબી કમિટીના પ્રમુખ વસીમ ફડવાલા સાહિતના સભ્યોએ દરેક બિરાદરોને શુભેચ્છાઓ પાઠવીને શાંતિ પૂર્ણ માહોલમાં તહેવારનું સમાપન થાય તેવી અપીલ કરી છે.


