નડિયાદ
ખેડા તાલુકાના કલોલી તાબેના ગોકુલપુરામાં ભાઠા તરીકે ઓળખાતા ખેતરમાં રહેતા નાગજીભાઈ જીવાભાઈ ભરવાડનું અન્ય મકાન ગોકુલપુરા ગામમાં પણ છે. ગત ૩૦મી જાન્યુઆરીના રોજ નાગજીભાઈ તથા તેમનો પુત્ર અને પુત્રવધૂ તમામ લોકો ખેતરના મકાનમાં સૂતા હતા. આ દરમિયાન ગામમાં આવેલા તેમના બંધ મકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. રાત્રિના અંધકારમાં તસ્કરો બહારના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી લાકડાની તિજાેરીમાંથી વિવિધ સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે ઘટનાની જાણ નાગજીભાઈ તથા તેમના પુત્રને થતાં તેઓ તુરંત ગામમાં આવેલ મકાન પર દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં તિજાેરીમાં મૂકેલ સોનાનો પાર્ટી પાલો, બે તોલાની સોનાની બુટ્ટી, એક તોલા સોનાની લગડી, ચાંદીના છળા, ચાંદીની લકી વીટી મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૦ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે નાગજીભાઈ ભરવાડે ખેડા ટાઉન પોલીસને જાણ કરતાં પોલીસે તેમની ફરિયાદના આધારે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.


