Gujarat

ખેડુતોને વીજળી આપવાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

અમદાવાદ
ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ ૬ કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોને પણ અગાઉ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ખેડૂતોને ૬ કલાક વીજળી આપીશું. આ જાહેરાત કર્યા બાદ પણ વીજળી મળતી નહીં હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસના સભ્યોએ વિધાનસભા પરિસરમાં બેસીને દેખાવો કર્યાં હતાં.કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા પરિસરમાં વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર પણ કર્યાં હતાં. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો. ગત ૧૫મી માર્ચે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજળીની અછત ઉભી થઇ હોવાથી ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી મળતી નહીં હોવાના આક્ષેપો અને સૂત્રોચ્ચારો સાથે કોંગ્રેસે વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવતા અધ્યક્ષના આદેશથી સાર્જન્ટોએ તેમને ટીંગાટોળી કરીને ગૃહની બહાર કાઢ્યા હતા. કોંગ્રેસના બાકીના ધારાસભ્યોએ પણ આ વર્તનનો વિરોધ કરીને વોકઆઉટ કર્યો હતો. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને પુરતી વીજળી અપાતી નહીં હોવાના મુદ્દે પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારે પ્રશ્નના જવાબમાં છેલ્લા બે વર્ષમાં વીજ ઉત્પાદન ક્ષમતામાં ૩૨૬૫ મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવ્યું છે પણ સામાજિક આર્થિક સમિક્ષામાં રાજ્યમાં બે વર્ષમાં માત્ર ૨૪૦ મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવાયું છે. જેથી સરકાર સાચો જવાબ આપતી નથી. જાે ક્ષમતા વધી હોય તો વીજળીની શોર્ટેજ કેવી રીતે થઇ, તમે ખેડૂતોને દિવસે વીજળી તો આપી શકતા નથી. સરકાર દેવું વધારે છે પણ પાવર હાઉસ ઉભા કરવા દેવું વધાર્યું હોત તો ખેડૂતોને પુરતી વીજળી આપી શકાતી હોત. તે સમયે રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે અગાઉ કોલસાની વૈશ્વિક તંગીને કારણે મુશ્કેલી ઉભી થઇ હતી જ્યારે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને કારણે ગુજરાતમાં વીજળીની શોર્ટેજ ઉભી થઇ છે. છતાં પણ ગઇકાલે ૧૪મી માર્ચના રોજ ૧૮૧૧૪ મેગાવોટ વીજળી પુરી પાડવામાં આવી હતી. આ ઘટ બે ત્રણ દિવસમાં પુરી થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *