Gujarat

ખેડૂત, ખેતી અને ગામડાના વિકાસ થકી દેશ આત્મનિર્ભર બનશે : કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ધૂતારપર ગામે આવેલ મેજર બ્રિજના  સ્લેબ ડ્રેઈનની કામગીરી નું રૂ. 88 લાખના ખર્ચે તેમજ ધૂળશિયા ગામે નિર્માણ પામનાર કોઝવેનું રૂ. 123 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનગર તાલુકા હેઠળના ધૂતારપર, સુમરી, પીઠડીયા, ખારાવેઢા ગામને જોડતા રસ્તા પર ધૂતારપર ગામે મેજર બ્રિજ આવેલ છે. જે ગત ચોમાસામાં અતિવૃષ્ટિના પરિણામે બ્રીજની બન્ને બાજુના એપ્રોચનું પૂર્ણ રીતે ધોવાણ થયું હતું જે અનુસંધાને બ્રીજનાં બન્ને છેડા પર 10 મીટરના 1 ગાળા વધારવા માટે રૂ.88 લાખના ખર્ચે સ્લેબ ડ્રેઈનની કામગીરી કરવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ધૂળશિયા ગામને જોડતા રસ્તા પર રૂ. 123 લાખના ખર્ચે કોઝવે ની કામગીરી માટે 1200 એમ.એમ. નાં પાઇપની 20 હરોળનો 295 મીટર લંબાઈ અને 7.50 મીટર પહોળાઈનાં કોઝવેનું નિર્માણ કરવામાં આવશે.

ખાતમુહૂર્ત વેળાએ ગ્રામજનોને સંબોધતા કૃષિમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, ધૂતારપર ગામે સ્લેબ ડ્રેઈનની કામગીરી પૂર્ણ થયે આજુબાજુનાં ગામોના વાડી વિસ્તારના રહીશોને તેમજ ગામડાઓને ચોમાસા દરમિયાન  પડતી મુશ્કેલીઓથી રાહત મળશે. જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અનેક જગ્યાએ નુકશાન થયું છે. જે કામોના રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને લોકોને કોઈ પ્રકારે મુશ્કેલી ન પડે તેમજ ખેડૂતોને કૃષિ માટે પાણી મળી રહે તે માટે ગામડાઓમાં ચેકડેમના નિર્માણ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી સારો પાક મેળવી સારી આવક મેળવે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સૂત્ર સાર્થક નીવડે. ધૂળશિયા ગામે કોઝવેની કામગીરી પૂર્ણ થતાં ગામને તેમજ આજુબાજુનાં ગામોનાં લોકોને પણ કોઝવે નો લાભ મળશે. ખેડૂત, ખેતી અને ગામડાઓના વિકાસ થકી દેશની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને ભારત આત્મનિર્ભર બનશે. જો પાકનું સારું ઉત્પાદન થાય સારા પાક મળશે તો ખેડૂત સુખી થશે અને તેમની આવકમાં વધારો થશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભરતભાઈ બોરસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લગધીરસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ શ્રી હસમુખભાઈ ફાચરા, તાલુકા ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ માંડવીયા, શ્રી વિપુલસિંહ જાડેજા, કાર્યપાલક ઇજનેર શ્રી છૈયા, શ્રી હાર્દિકભાઈએપીએમસીનાં ડાયરેકટર શ્રી મનસુખભાઈ વાદી, શ્રી કાંતિલાલ દુધાગરા, સરપંચ શ્રી મનસુખભાઈ, શ્રી રસિકભાઈ , શ્રી હીરાલાલ, શ્રી કાનજીભાઈ, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Dhutarpar-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *