ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય હલચલ તેજ થઈ રહી છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે. જાે કે હજુ તારીખ જાહેર નથી થઈ તેમ છતા દિલ્હીના મોટા મોટા નેતાઓએ ગુજરાતનો પ્રવાસ વધારી દીધો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, આપ નેતા અરવિંદ કેજરીવાલ અને પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહએ અનેક વખત ગુજરાતની મુલાકાત લીધી છે. હવે આ કડીમાં ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ ૧ જુલાઈએ ગુજરાત આવશે. આમ તો આ એક ધાર્મિક કાર્યક્રમ છે પરંતુ ચૂંટણીનું વર્ષ હોવાથી ગૃહમંત્રીની ગુજરાત મુલાકાતનું મહત્વ વધી જાય છે. કલોલમાં આવેલ વિશ્વ મંગળ ગુરુકુળના કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. ૩૫૦ કરોડના ખર્ચે આકાર પામનારી પ્રેમ સ્વરૂપ સ્વામી સુપર મલ્ટી સ્પેશ્યલિટી હોસ્પિટલનું તેઓ ખાત મુહુર્ત કરશે. આ ઉપરાંત સ્વામિનારાયણ યુનિવર્સીટીના લોકાર્પણમાં પણ ભાગ લેશે.


