રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતીના ચલાવવામાં આવી રહેલા અભિયાનને સફળતા મળી રહી છે. રાજ્ય સરકારે પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. ઉપરાંત પ્રાકૃતિક ખેતીને વધુ બળ મળે તે માટે ગત બજેટમાં પ્રાકૃતિક ખેતી માટે એક બોર્ડની રચના કરવાની પણ જાહેરાત કરી છે.
જૂનાગઢ જિલ્લામાં ૧૧૬૮૮ ખેડૂતોએ ૧૬૮૭૪ એકરમાં મગફળી સહિતના પાકોનું પ્રાકૃતિક ઢબે ઉત્પાદન કરી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં જોડાઈ અને પ્રાકૃતિક કૃષિ મારફત આર્થિક ઉપાર્જન મેળવતા થાય તે માટે સમયાંતરે ખેડૂતો માટે માર્ગદર્શન તાલીમ યોજવામાં આવે છે. જેમાં આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ તંત્ર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવે છે. જેના જૂનાગઢ જિલ્લામાં સારા પરિણામો પ્રાપ્ત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આહવાન કરતાં રહે છે. જેને ખેડૂતો સ્વીકારી રહ્યા છે.
