રાજકોટ
ઉલ્ટા ચોર કોટવાલ કો દાંટે જેવી નિતી રાજકોટમાં જાેવા મળી રાજકોટમાં કાકા પાસેથી પૈસા લઈ ભત્રીજાએ પૈસા પરત ન કર્યા ઉપરથી કાકાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ શહેરના કિસાનપરા-૨માં રહેતા એડવોકેટ મનોજસિંહ કાળુભા જાડેજાએ ગાંધીગ્રામના જીવંતિકાનગર-૨માં રહેતા કૌટુંબિક ભત્રીજા જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, કૌટુંબિક ભત્રીજાે ફાઇનાન્સનું અને ગાય-ભેંસનો તબેલો ધરાવતા હોય ૨૦૧૬માં બંને ધંધાના વિકાસ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતા તે મારી પાસે આવ્યા હતા અને ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી લાલચ આપી હતી. જેથી ત્રણ વર્ષમાં તેને કટકે કટકે રૂ.૨૧.૫૦ લાખ આપ્યા હતા. કૌટુંબિક ભત્રીજા પર વિશ્વાસ ન હોય નાણાં આપ્યા બાદ સમયાંતરે નફાના રકમની માગણી કરી હતી. પરંતુ તે ગોળગોળ વાત કરી વાતને ઉડાડી દેતો હતો. જેથી તેને પોતાની મૂળ રકમ પરત આપી દેવાની વાત કરી હતી. જેથી કૌટુંબિક ભત્રીજાએ હાલ નાણાં બધા રોકાઇ ગયેલા હોવાનું કહ્યું હતું. અને તેને વિશ્વાસ બતાવવા માટે તેની પાસે રહેલા સોનાના ઘરેણાં સિક્યુરિટી પેટે આપ્યા હતા અને રકમ પરત કરું ત્યારે ઘરેણાં પરત કરી દેવાની વાત કરી હતી. કૌટુંબિક ભત્રીજાએ આપેલા ઘરેણાંની ખરાઇ કરાવતા તે કોઇ ધાતુના હોવાનું જાણવા મળ્યું હતું. જેથી કૌટુંબિક ભત્રીજાને આ મુદ્દે વાત કરતા તેને તારાથી થાય તે કરી લેજે રૂપિયા પરત આપવાના થતા નથી. અને હવે જાે રૂપિયાની માગણી કરીશ તો હું ફિનાઇલ પીને સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી ખોટા કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી હતી. અંતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
