ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ સુધીનો આશરે 10 કીમીનો રસ્તો વર્લ્ડ બેંકની લોનમાંથી સેફ કોરીડોર તરીકે વિકસાવવામાં આવ્યો છે પણ આ કોરીડોરમાં જ ટુંકા ગાળામાં લકઝરી બસની ટકકરે બાળકી સહિત બે લોકોના મોત થઇ ચુકયાં છે.
નર્મદા ચોકડીથી દેહગામ સુધીના રોડને સેફ કોરીડોર અંતર્ગત ટ્રાફિક સિગ્નલ, સાઇન બોર્ડ તથા રોડની બંને તરફ રેલિંગ લગાડવામાં આવી છે. એબીસી ચોકડીથી મઢુલી સર્કલ તરફ આવતાં બ્રિજનો કેટલોક હિસ્સો થોડા દિવસો પહેલાં તુટી પડયો હતો. આ ઉપરાંત આ માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે. મઢુલી સર્કલ પાસે સ્પીડબ્રેકર નહિ હોવાથી અકસ્માતના બનાવો બનતાં હોવાનો રોષ સ્થાનિકોએ ઠાલવ્યો હતો.
અકસ્માતની ઘટના બાદ લોકોએ ચકકાજામ કરી દીધો હતો. અકસ્માત બાદ લોકોએ પોલીસ વિભાગને ઉગ્ર રજુઆત કરી હતી. પોલીસે પહેલાં બેરીકેડ મુકયાં હતાં અને બાદમાં સ્પીડબ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

