અમદાવાદ
દેશભરમાં નૂપુર શર્માની ટિપ્પણી મામલે વિવાદ થયો છે. કેટલીક જગ્યાએ હિંસક વિરોધ થયો છે તો કેટલીક જગ્યાએ લોકો રેલી સ્વરૂપે ભેગા થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં આ મામલે હિંસા કે વિરોધ ના થાય તે માટે સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહ્યું છે. એવામાં સોશિયલ મીડિયામાં કોમવાદ અને ભડકાઉ પોસ્ટ મુકનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે રખિયાલમાં રહેતા ઇરસાદ અંસારી નામના આરોપીની ધરપકડ કરી છે. ૧૦ જૂને રાતે ઇરસાદે તેના ફેસબુક પર અલગ અલગ પોસ્ટ મૂકી હતી જેમાં હાલમાં ચાલી રહેલા વિવાદમાં લોકો વધુ ઉશ્કેરાય તથા કોમવાદ થાય તેવું લખાણ લખેલું હતું. જેને લઈને સાયબર ક્રાઈમે શાંતિનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવા બદલ ગુનો નોંધીને ઇરસાદની ધરપકડ કરી છે. ઇરસાદ ૧૦ ધોરણ સુધી ભણેલો છે અને જીન્સ, પેન્ટ તથા શર્ટ બનાવવાનો વેપાર કરે છે. રખિયાલમાં તે તેની પત્ની અને દીકરા સાથે રહે છે. આરોપી પાસેથી તેનો ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ આરોપીની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


