ભુજ
પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર આડેસરથી સાંતલપુર તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૨૭ પર આવેલા પીપરાળા નજીક રાત્રે પોલીસની જીપ અને ડંપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છના એક પીએસઆઇનું સારવાર મળે તે પૂર્વેજ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. અકસ્માત રાત્રીના થયો હતો. જેમાં પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગના ચાર અધિકારી સરકારી બોલેરો જીપમાં બનાસકાંઠા ખાતે આયોજિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં બંદોબસ્ત માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પીપરાળા સાંતલપુર વચ્ચેના માર્ગે ડગાચિયા દાદાના મંદિર પાસે પોલીસની જીપ અને ડંપર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ સુરત જિલ્લાના ગોદલીયા ગામના વતની અને પશ્ચિમ કચ્છ પોલીસમાં લીવ રિઝર્વ પર હાજર થયેલા પીએસઆઇ કુંવરજી ફુલસિંગ વસાવાનું અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓ જીપ મારફતે બનસકાંઠા જિલ્લા ખાતે આયોજિત મુખ્યમંત્રીના બંદોબસ્ત માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં સુરતના જીપ ચાલકને પગના ભાગે એકથી વધુ અસ્થિભંગ સહિતની ઇજા થતાં મહેસાણા વાઇબ્રન્ટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હોવાનું સંયલપુર પીએસઆઇ એચ. વી. ચૌધરીએ જણાવ્યું હતું.


