ગાંધીનગર
ચીનમાં કોરોના સંક્રમણને કારણે થયેલો તાંડવ ભારતમાં ન પહોંચે તે માટે સરકાર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જે અન્વયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લગતી ઈમરજન્સી સજ્જતા સહિત ઓક્સિજન પ્લાન્ટનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં સિવિલિમાં ખાટલા અને બાટલા માટે રીતસરની લાઈન લાગી હતી. આવી સ્થિતિનું ફરીવાર નિર્માણ ના થાય તે માટે સિવિલ તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ચીન સહિતના ૧૦ દેશોમાં કોરોના સંક્રમણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એમાંય ચીનમાં કોરોનાના કારણે દયનીય સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેનાં પગલે કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. આ સંદર્ભે તમામ રાજ્યોને પણ ખાસ તકેદારી રાખવા માટેની સૂચનાઓ અપાઈ ગઈ છે. જે અન્વયે ગાંધીનગર આરોગ્ય તંત્ર ધ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પણ આગોતરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જે અન્વયે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જેટલા ડોક્ટરોની ટીમ , ૫૦ જેટલા પેરા મેડિકલ સ્ટાફ, બે વોર્ડમાં ૬૦ જેટલા બેડ ઉપરાંત દવા, કોવિડ ટેસ્ટ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોના દર્દીઓ માટે સંજીવની સમાન ઓક્સિજન પ્લાન્ટનાં મોકડ્રિલનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલના અધિકારીઓ તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, કોરોનાને લઈ રાજ્ય સરકાર સતર્ક છે. ગાંધીનગર સિવિલ માં ઓક્સિજન માટે મોકડ્રિલ યોજી હતી. સિવિલમાં ૩ ઓક્સિજન પ્લાન્ટ છે અને ત્રણેય કાર્યરત છે.૫૦ જેટલો પેરા મેડિકલ સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યો છે.૬૦ બેડની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.


