ટ્રાઈફેડ્ના ચેરમેન રામસિંહ રાઠવા તથા ટ્રાઈફેડના ગુજરાત રાજ્યના પ્રાદેશિક મેનેજર અજીત વછાણી અને તેમની ઓફિસના કર્મચારીઓએ છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામની “ઈન્દ” તહેવાર નિમિત્તે મુલાકાત લીધી હતી.
આ નિમિત્તે રામસિંહ રાઠવા દ્વારા “ઈન્દ” તહેવારની જાણકારી તથા તેના મહત્વતાને ટ્રાઈફેડના અધિકારીઓને અવગત કરાવ્યા. “ઈન્દ” તહેવાર પરંપરાગત રીતે ઊજવવામાં આવે છે. અહિંના આદિજાતિના લોકો તેમના આ સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા તેમજ આવનારી પેઢિ તેમના આ વારસાને જાળવી રાખે તે હેતુસર આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર “પિથોરા” ચિત્રકામ સાથે સંકળાયેલ છે અને આ ઉત્સવ દરમિયાન “પિથોરા” ચિત્રકામ ઘરની પ્રથમ દિવાલ જેવીકે ઘરની સીમા અથવા ઓસરીની દિવાલ પર કરવામાં આવે છે. “પિથોરા” એ ચિત્ર નહિ પરંતુ તે આદિવાસીઓના દેવ છે તેને દોરવામા નહિ પરંતુ લખવામાં આવે છે. પ્રકૃતિપુજક રાઠવા સમુદાયના લોકો તેને દેવ તરીકે પુજે છે.
ટ્રાઈફેડ આદિજાતિના લોકોને આત્મ નિર્ભર બનાવવા પ્રયાસો કરે છે અને તે દિશામાં તે અગ્રેસર રહીને કાર્ય કરે છે.
ટ્રાઈફેડના અધિકારીઓ સાથે આ માહિતી આપતા રામસિંહ રાઠવાએ જણાવ્યું કે “પિથોરા” ચિત્ર ટ્રાઈફેડ તેના શો-રૂમ તથા તેના ઓનલાઈન પ્લેટ્ફોર્મ tribesindia.com દ્વારા બજારમાં ઉપલબ્ધ કરાવે છે. તો તેમને આ ચિત્ર બનાવવા પાછળનું કારણ સમજાવવા તથા તેમને કોઈ ‘પિથોરા’ ચિત્ર વિષે માહિતી માંગે તો તે સારી રીતે અવગત કરાવી શકે તે હેતુથી આ “ઈન્દ” ઉજવણી જોવા અને સમજવા અર્થે આ ગાંઠિયા ગામ મુકામે આમંત્રિત કર્યા છે.


