Gujarat

જૂનાગઢના નવાબે ૬ હેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝુનો વિસ્તાર ૮૪ હેકટરમાં કરી વન વિભાગ વન્ય પ્રાણીઓની કરી રહ્યું છે સંરક્ષણ અને સંવર્ધન

સાવજોથી જાણીતા ગિરનાર – સાસણ વચ્ચે જૂનાગઢમાં આવેલુ વન વિભાગ હસ્તકનું સકકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ અતિ લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીં બે સેટઅપ છે એક છે પાંજરામાં પૂરાયેલા પ્રાણીનું ઝુ અને બીજુ છે ૫૦ હેકટરના વિસ્તારમાં ફેલાયેલુ જંગલ. આ જંગલમાં સાત કિમી સુધીની સફારી ઝુની જ બસમાં કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે.

કહેવાય છે કે કદાચ સાસણમાં સિંહ જોવા મળે કે ન મળે પરંતુ સકકરબાગ ઝુના સફારી પાર્કમાં તો સિંહ અચૂક જોવા મળશે જ.  અને એટલે જ સકકરબાગના ઝુના પીંજરામાં પૂરાયેલા અને જંગલમાં ખુલ્લા ફરતાં  સિંહોને જોવા માટે પ્રતિ વર્ષ ૧૨ લાખ જેટલા સહેલાણીઓ ઉમટતા હોવાનું આરએફઓશ્રી નિરવ મકવાણાએ જણાવ્યુ હતું.

૧૮૬૩ થી નિર્માણ પામેલ સકકરબાગ ઝુમાં નવાબી સમયની ઇમારતનું જતન કરવામાં આવ્યુ છે, નવીનીકરણ કરાયુ છે.  જૂનાગઢના નવાબે ૬ હેકટરમાં બનાવેલા સક્કરબાગ ઝુ કમ સફારી પાર્કનો વિસ્તાર ૮૪ હેકટર સુધીનો વધારીને વન અને પર્યાવરણ વિભાગ વન્ય પ્રાણીઓની સંરક્ષણ અને જતન કરી રહ્યું છે. સક્કરબાગ ઝુમાં પાંજરે પુરાયેલા અને ખુલ્લાંમાં ફરતો બંને પ્રકારના સિંહ જોઈ શકાય છે.

ટુરિસ્ટ ફેસિલિટી વિશે માહિતી ખાતાની ટીમને જાણકારી આપતાં આરએફઓશ્રી નિરવ મકવાણાએ કહ્યું હતું કે ઝુમાં કેન્ટીન, સીટીંગ એરેજમેન્ટ સહિતની પ્રવાસીઓની સુવિધામો વધારો થયો છે.

પ્રાણીઓ માટે પણ કેટલીક ખાસ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. જેમ કે ચોમાસામાં પાણી ન ભરાઈ રહે એ માટે ઉંચાઇ ઉપર પ્લેટફોર્મ બનાવાયા છે. જેથી પ્રાણીઓ ત્યાં બેસી શકે. તેમજ પાંજરા ઉપર ગ્રીન નેટ બાંધી દેવામાં આવે છે. ઉનાળામાં ભારે ગરમીથી પ્રાણીઓને બચાવવા બધા પાંજરા ઉપર સ્પ્રિંકલ્સ(ફુવારા) ગોઠવવામાં આવે છે. નાઈટ સેલટર્સમાં બરફ પણ મુકવામાં આવે છે. આમ પ્રાણીઓની ઋતુગત સંભાળ લેવામાં આવે છે

સક્કર બાગ ઝુના ડાયરેકટરશ્રી અભિષેકકુમાર, આઇએફએસ કહે છે કે, સકકરબાગના પ્રાણી સંગ્રહાલયમાં ૮૦૦થી વધુ પ્રાણીઓ આવેલા છે. જેમાં ૮૦ સિંહો, ૭૦ દિપડાઓ વગેરેનો સમાવેષ થાય છે. અહીં હરણની વિવિધ ૧૨થી પણ વધુ પ્રજાતિઓ આવેલું હોવાથી અહીં અલાયદો હરણ પાર્ક ઉભો કરાયો છે. જે પ્રવાસીઓને-સહેલાણીઓને વિશેષ આકર્ષે છે. આ ઝૂમાં પક્ષીઓની ૪૭ થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

સકકરબાગ ઝુમાં પ્રાણીઓની સારવાર માટે છે ૩ વેટરનરી ડોકટર્સ અને તેની ટીમ દ્વારા અવિરત સેવા આપવામાં આવે છે. પાંચ લાઇવ સ્ટોક ઇન્સપેકટરો દ્વારા પ્રાણીઓની નિયમિત તપાસ કરવામાં આવે છે. પ્રાણીઓને ખાવા માટે વિશેષ વ્યવસ્થાઓ છે. જેમાં લીલોચારો, અનાજ, ધાન, ફળો, મટન, ચીકન, ઇંડા સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રાણીઓનો આ ખોરાક સરકારની પ્રવર્તમાન નીતિઓ અનુસાર ઇ-ટેન્ડરથી મંગાવવામાં આવે છે. આ ઝૂમાં ૧૩૦ જેટલા અધિકારીઓ- કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે.

sakkarbaugh-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *