છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ખાંડીયા અમાદરા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા આવી પહોંચતા ગામના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, તલાટી કમ મંત્રી અને ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સામૈયું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજયમાં ગત તા. ૦૫/૦૭/૨૦૨૨ના રોજથી વંદે ગુજરાત વિકાસયાત્રા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ બે વંદે ગુજરાત રથ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રથ યાત્રા કાઢવામાં આવી રહી છે.
જિલ્લામાં આવેલી જિલ્લા પંચાયત દીઠ પરિભ્રમણ કરતી આ વંદે ગુજરાત રથયાત્રા જેતપુર પાવી તાલુકામાં આવેલી ૮-જેતપુર પાવી બેઠકમાં સમાવિષ્ઠ ગામમાં પ્રવેશ કરતા ખાંડીયા અમાદરા ગામે ઉપસ્થિત તાલુકા પંચાયત સભ્ય, સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી રથયાત્રાનું દબદબાભેર સ્વાગત કર્યું હતું.
રથયાત્રા દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ રથ યાત્રા યોજવાનો ઉદ્દેશ સ્પષ્ટ કરી સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર જાણકારી આપી હતી. વંદે ગુજરાત વિકાસ: ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ નામની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરી વંદે ગુજરાત વિકાસ ગાન વગાડવામાં આવ્યું હતું.
ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની વિવિધ વ્યક્તિલક્ષી કલ્યાણ યોજનાના લાભાર્થીઓને કીટ અને કાર્ડની સહાય આપવામાં આવી હતી. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


