મહેસાણા
વિજાપુર તાલુકાના ડાભલા ગામે કડિયાકામની મજૂરીના પૈસા મગનાર યુવાનની હત્યા કરવાના કેસમાં દોષિત પિતા, પુત્ર સહિત ત્રણ આરોપીઓને મહેસાણા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ આરોપી પૈકી એક આરોપી પિતાનું કેસના ટ્રાયલ દરમિયાન મોત થઈ ચૂક્યું છે. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ વિજાપુર તાલુકાના ડાભલા ગામે રહેતા દશરથજી અંદુજી ઠાકોરે ગામના કનુજી ઠાકોર પાસે પોતાની કડિયાકામની મજૂરીના પૈસા માગતાં કનુજીએ દશરથજી સાથે ઝઘડો કર્યો હતો અને દશરથજીને તે સમયે રણજીતજી ઠાકોરે ગળામાંથી પકડી રાખ્યો હતો અને કનુજીના પિતા મેઠાજીએ બંને હાથ પકડી રાખતાં કનુજીએ લોખંડની કોસ દશરથજીના પેટમાં ઘુસાડી દીધી હતી. દશરથજીને દવાખાને લઈ જતાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે દશરથજીના ભાઈએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસ સોમવારે મહેસાણા કોર્ટમાં ચાલી જતાં કડિયાકામની મજૂરીના પૈસા લેવા જેવી સામાન્ય બાબતે ખૂન કરી નાખનાર આરોપીઓને હળવાશથી લેવાય નહીંની સરકારી વકીલ હસુમતીબેનની દલીલોને આધારે એડિશનલ સેશન્સ જજ ઝંખનાબેન ત્રિવેદીએ ઠાકોર મેંઠાજી વરવાજી, તેમના પુત્ર ઠાકોર કનુજી મેઠાજી અને રણજીતજી પ્રધાનજી ઠાકોરને આઇપીસી ૩૦૨ કલમ અંતર્ગત આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ દ્વારા ૧૨ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. ત્રણ આરોપી પૈકી કનુજીના પિતા મેઠાજીનું કેસના ટ્રાયલ દરમિયાન મોત થઈ ચૂક્યું છે.


