Gujarat

દેડીયાપાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની કરાયેલી ભવ્ય ઉજવણી

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આદિવાસી સમાજને વિકાસના મુખ્યપ્રવાહ સાથે જોડ્યો છે : જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા
———-
અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં મોબાઈલ ટાવરો ઊભા કરીને કનેક્ટિવિટી
મજબૂત કરવાની જિલ્લા પંચાયત પ્રમુખે દર્શાવેલી પ્રતિબદ્ધતા
———-
                       સંયુક્ત રાષ્ટ્ર્ર સંઘ દ્વારા કૃષિ, પશુપાલન અને પ્રકૃતિ સાથે સંકળાયેલા આદિવાસી સમાજના સન્માનમાં તા.૦૯ ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે જાહેર કરાયો છે. જેના ભાગરૂપે આદિવાસી વિકાસ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને તેમજ વન અને પર્યાવરણ વિભાગના માજી મંત્રીશ્રી મોતીસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થતિમાં દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અન્વયે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત આદિવાસી સમાજના પરંપરાગત લોકનૃત્ય અને સરકારશ્રીની આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસગાથાને દર્શાવતી ફિલ્મના નિદર્શન દ્વારા કરાઈ હતી.
                ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરી આદિવાસી સમાજ અને તેની વિરાસતને ફરી જીવંત કરી છે. રાજ્યના વિકાસમાં આદિવાસી સમાજની જનભાગીદારી વધારવા અને તેમના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી ‘વનબંધુ કલ્યાણ’ યોજનાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭ માં કરાયો હતો. આજે આદિવાસી સમાજના યુવાનોને રોજગાર મળી રહે તે માટે આઈ.ટી.આઈ, કૌશલ્યવર્ધન કેન્દ્રો, વોકેશનલ તાલીમ, રોજગાર મેળાઓનું આયોજન તેમજ ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. આદિવાસી સમાજના આર્થિક વિકાસને વેગવંતો બનાવવા તેમજ રોજગારીની તકો ઉભી કરવા માટે ૨૧ ઇકો-ટુરિઝમ કેન્દ્રોની સ્થાપના કરાઈ છે.
                          વધુમાં તેમણે જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ થકી આદિવાસી સમાજમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર, ખેતી-પશુપાલન, વીજળી, પાણી વિષયક પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ છે. તેમણે સરકારશ્રી દ્વારા લોકહિતમાં કરવામાં આવેલ સરાહનીય કામગીરીને પ્રજા સમક્ષ રજૂ કરી સમાજના ભાઈ-બહેનોને વિવિધ યોજનાઓથી વાકેફ કર્યા હતા.
                            આ પ્રસંગે માજી વન અને પર્યાવરણ મંત્રીશ્રી મોતીસિંહ વસાવાએ આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસનો ચિતાર આપતા જણાવ્યું કે, દેશની આઝાદીમાં આદિવાસી સમાજનું મોટુ યોગદાન રહ્યું છે. આજે આદિવાસી સમાજના ભાઈ-બહેનો માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી તેમને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની પ્રસંશનીય કામગીરી કેન્દ્ર અને રાજ્યની સરકારે કરી છે. વધુમાં તેઓએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની છણાવટ કરી આદિવાસી સમાજના શિક્ષણની ગુણવત્તા, આરોગ્યલક્ષી કામગીરી, રોજગાર , ખેતી ક્ષેત્રની પ્રગતિ સહિત વિવિધ ક્ષેત્રે થયેલી પ્રગતિનો ચિતાર આપ્યો હતો.
                         રાજ્યકક્ષાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે યોજાયો હતો. જ્યાં આજરોજ મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે રાજપીપલા ખાતે નવનિર્મિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના લોગોનું વિમોચન કરાયું હતું. જેનું જીવંત પ્રસારણ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આદિવાસી સમાજે નિહાળ્યું હતું.
                               આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો, રમતવીરો, ખેડૂતો સહિત પશુપાલકોને પ્રશસ્તિપત્રો આપી સન્માનિત કરાયા હતાં. સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ૪૩,૦૩૦ લાભાર્થીઓને યોજનાકીય સહાયના રૂ. ૮૭૨.૫૯ લાખના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
                             વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને યોજાયેલ કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિદાસ વસાવા, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, નાયબ કમિશ્નરશ્રી (હિસાબ) બી.વી.ગામિત, દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી આનંદભાઈ ઉકાણી, મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ વિભાગના શ્રી એસ.એમ.ગરાસિયા તેમજ જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

IMG-20220809-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *