નવસારી
મર્ડર કેસનો એવો કેસની ચાર્જસીટ સામે આવી કે જેના પર વિશ્વાસ કરવો કે ચાર્જસીટ બનાવતા પહેલા બરાબર કેસની જાંચ-પૂછપરછ કર્યા વગર બનાવી તેના પર, જે વ્યક્તિની હત્યાના ગુનામાં પોલીસે બે જણની ધરપકડ કરી એ વ્યક્તિ જીવતી પાછી ફર્યાનો વિચિત્ર કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. અત્યંત ફિલ્મી ઘટના કંઇક આવી છે. ૫ વર્ષ પહેલા નવસારીના વેસ્મા વિસ્તારમાં એક બિનવારસી લાશ મળી હતી. પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વ્યક્તિની ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ લાશ મળી એ જ વખતે વેસ્મામાં એક બીજી ઘટના બની. રાત્રિના સમયે ખોરાક શોધવા કે અન્ય કોઈ કારણોસર નાગુલાલ ગાયરી નામનો પરપ્રાંતીય શખ્સ એક ઘરમાં ઘૂસી ગયો. લોકોએ બૂમાબૂમ કરતા નાગુલાલ ભાગી ગયો હતો. હવે બન્યું એવું કે જે બિનવારસી લાશ મળ્યાની ઘટના અને નાગુલાલની ઘટનાને જાેડીને પોલીસે એવી થીયરી ઉભી કરી કે નાગુલાલ ઘરમાં ઘૂસ્યાની અદાવત રાખીને મદન સુખલા અને સુરેશ બાટેલાએ તેની હત્યા કરી. પોલીસે પેલી બિનવારસી લાશ નાગુલાલની હોવાનું માનીને મદન અને સુરેશની ધરપકડ પણ કરી દીધી. પોલીસે આવું એટલા માટે કર્યું કારણ કે જે બિનવારસી લાશ મળી એનો ચહેરો નાગુલાલ સાથે મળતો આવતો હતો. પોલીસે એવી થિયરી રજૂ કરી કે મદન અને સુરેશે એક બાળકની મદદથી નાયલોનની દોરીથી ગળું દબાવીને હત્યા કરી અને તેને આત્મહત્યામાં ખપાવવા લાશને ધાબળામાં લપેટી સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો. વાત અહીં અટકતી નથી. પોલીસે પેલી બિનવારસી લાશ નાગુલાલની હોવાનું કહીને તેના ભાઈને સુપરત કરી. આ તરફ ભાઈએ પણ લાશ નાગુલાલની હોવાનું માનીને વતન મધ્ય પ્રદેશ લઈ જઈ ત્યાં અંતિમ સંસ્કાર કરી દીધા હતા. તેણે પોતાના સગાને જ્યારે નાગુલાલના મોતના સમાચાર આપ્યા તો સગાએ ઘટસ્ફોટ કર્યો કે નાગુલાલ જીવતો છે એ ઘણા દિવસથી મારા ઘરે રહે છે. બાદમાં નાગુલાલ એમપીમાં પોતાના વતન આવ્યો અને ત્યાંથી નવસારી પાછો ફર્યો હતો. નાગુલાલ જીવતો પાછો ફરતા પોલીસની પોલ ખુલી અને સમગ્ર કેસમાં અણધાર્યો ટ્વીસ્ટ આવ્યો હતો. પોલીસે પોતાની ખામી સુધારવાને બદલે નાગુલાલ જીવતો પાછો ફર્યો હોવા છતાં દાખલ કરેલી ચાર્જશીટમાં તેની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં અધિક સત્ર કોર્ટના ન્યાયાધીશ સારંગા વ્યાસે બન્ને આરોપી મદન અને સુરેશને દોષમુક્ત જાહેર કર્યા તથા બન્નેને ૫૦-૫૦ હજારનું વળતર ચૂકવવા તપાસ અધિકારી પ્રદીપસિંહ ગોહિલને આદેશ આપ્યો હતો. કોર્ટે નોંધ્યું કે ખોટી રીતે આરોપીઓને જામીનમુક્તિ સુધી જેલમાં રહેવું પડ્યું હોવાથી ભારે યાતનાઓ સહન કરવી પડી હતી. પોલીસે ૧ મહિનામાં બન્ને આરોપીઓને વળતર ચૂકવવું પડશે. આ કેસમાં મહત્ત્વની વાત એ પણ હતી કે એક અજાણી વ્યક્તિની લાશ મળી અને તેની હત્યા થયાનું પણ પી.એમ.માં ખુલ્યું હતું. આ લાશ નાગુલાલની હોવાની પોલીસની થિયરી બાદમાં ખોટી નીકળી હતી. એટલે મરનાર શખ્સ કોણ હતો અને તેની હત્યા કોણે કરી એ રહસ્ય હજુ અકબંધ છે. હજુ આવા કેટલા અધૂરા કેટલા કેસ બાકી હશે કે નહિ આવા અધૂરા કેસ ના કારણે લોકોને કેવી મુશ્કિલો આવી પડે છે કોઈના પરિવાર તો કોઈ ની જિંદગી વિખરાઈ જાય છે.
