કોરોનાની મહામારી બાદ નવરાત્રિ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વરમાં પણ રોટરી કલબના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક પજવણી અને મીરા પંજવાણીના માર્ગદર્શન હેઠળ રોટરી પ્રમુખ અર્પણ સુરતી તેમજ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રિ મહોત્સવની આવકનો સેવાકાર્યમાં ઉપયોગ કરવામાં આવશે. આ ફંડમાંથી રોટરી કલબ જરૂરીયાતમંદો માટે 3 નવા પ્રોજેકટ શરૂ કરવા માટે જઇ રહી છે. જેમાં લેબોરેટરીની સુવિધા સાથે મધર મિલ્ક બેંક, મોબાઇલ બ્લડ ડોનેશન વાન અને સ્કોલરશીપ યોજનાનો સમાવેશ થાય છે.
દર્દીઓને લોહીની જરૂર પડે ત્યારે રકતદાતાઓ તથા રિપ્લેસમેન્ટ પણ ના આપવું પડે તે ઉદ્દેશ સાથે 40 લાખ રૂપિયાના ખર્ચે મોબાઈલ બ્લડ ડોનેશન વેનની સેવા શરૂ કરાશે.દરરોજ અલગ અલગ સ્થળે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રક્ત એકત્ર કરશે.
સમય પહેલાં જન્મતા બાળકોને કાચની પેટી અથવા તબીબી ઉપકરણોના સહારે રાખવામાં આવે છે. આ બાળકોને માતાના દુધની જરૂરીયાત હોય છે. દુધની આ જરૂરીયાતને પુરી કરવા માટે મધર મિલ્ક બેંક ઉપયોગી છે. આ બેંકમાં માતાઓના દુધનો સંગ્રહ કરવામાં આવે છે. મધર મિલ્ક બેન્ક પ્રોજેક્ટ પાછળ 30 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે. આ મધરમિલ્ક બેન્ક જિલ્લાની પ્રથમ હશે.


