ગાંધીનગર
માણસા તાલુકાના બાપુપુરા ગામે ચાલીસ વર્ષ અગાઉ સમાજના રીતરિવાજ મુજબ વૃદ્ધાનાં લગ્ન થયાં હતાં. જાે કે તે સમયે ઉંમર નાની હોવાથી તેઓ પુખ્ત વયના થતાં ૩૦ વર્ષ અગાઉ સાસરીમાં રહેવા લાગ્યા હતા. આ લગ્નથી તેમણે દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારે પતિ કહેવા લાગ્યો હતો કે આટલો જલ્દી છોકરાને કેમ જન્મ આપ્યો. હાલમાં બાળકો લાવવાના નથી. જે બાબતે જેઠ-જેઠાણીએ પણ વિરોધ નોંધાવી ટોણા માર્યા હતા. જાે કે તે પછીથી બીજા ત્રણ સંતાનોનો જન્મ થયો હતો. પતિને વેલ્ડિંગનું કારખાનું હોવાથી તેની બધી કમાણી તે જેઠાણીને આપી દેતો હતો. જે અંગે મહિલા કંઈપણ કહેવા જાય તો તેણીને પતિ અને જેઠ-જેઠાણી શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. અધૂરામાં પૂરું પતિ ઘર ખર્ચના પણ પૈસા આપતો નહોતો. જાે કે બાળકોના કારણે તે બધો ત્રાસ સહન કરતી રહી હતી. બે મહિના અગાઉ વૃદ્ધાએ તેના પતિને કહ્યું હતું કે વેલ્ડિંગનાં કારખાનાની બધી આવક જેઠાણીને શું કામ આપી દો છો. બસ આટલું સાંભળતાની સાથે જ પતિ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારઝૂડ કરવા લાગ્યો હતો. જેનું ઉપરાણું લઈ જેઠ-જેઠાણી અને ભત્રીજાએ પણ તેમને માર માર્યો હતો. બાદમાં તેમણે વૃદ્ધાને ઘરેથી કાઢી મુકી હતી. આ વખતે પણ બાળકો યાદ આવતાં વૃદ્ધા ૧૮મી એપ્રિલના રોજ સાસરીમાં પરત ફરી હતી. પરંતુ પતિ અને જેઠ-જેઠાણીએ પિયરમાંથી રૂપિયા બે લાખ લઈને આવી હોય તો જ ઘરમાં આવવાની ધમકી આપી તેણીને ઘરમાં ઘૂસવા દીધી નહોર્ત જેનાં કારણે તે ઘરની પાસેના ગાળા (પડતર જગ્યા)માં જ સૂઈ ગઈ હતી. તેમજ બીજા દિવસે સવાર પડતાં વૃદ્ધા પતિના ભારત વેલ્ડિંગ કારખાના બહાર પહોંચી ગઈ હતી. જ્યાં બહાર ઉભા રહીને તેણીએ ઊધઈ મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આમ પતિ અને જેઠ-જેઠાણીના ત્રાસનાં કારણે ૫૩ વર્ષની વૃદ્ધાએ આપઘાતનો પ્રયાસ કરતા માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.માણસા તાલુકાના બાપુપુરા ગામની ૫૩ વર્ષિય વૃદ્ધાએ છેલ્લા ચાલીસ વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ તથા જેઠ-જેઠાણી દ્વારા આપવામાં આવતો ત્રાસ આખરે સહન ન થતાં પતિના કારખાનાની બહાર ઉભા રહીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે માણસા પોલીસે વૃદ્ધાના પતિ, જેઠ-જેઠાણી અને ભત્રીજા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


