માણાવદર શહેરમાં મિલકતોની બજાર કિંમતમાં નક્કી કરતી જંત્રીમાં કોમર્શિયલ મિલકતોની જંત્રીનો ભાવ ૧ ચો. મીટરનો ભાવ ૭૧ હજાર રૂપિયાનો હોવાથી નાગરિકોમાં ફફડાટ વ્યાપ્યો છે. અને જંત્રીનો ભાવ ઘટાડવા માટે માણાવદરના નાગરિકો કે.ડી.ઝાટકિયા, બિપીનભાઈ બોરસાણીયા , મુન્નાભાઇ સાંગાણી, ડેવિડભાઇ ફુલેત્રા, કિશોરભાઈ ખગ્રામ વગેરે મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ને એક આવેદનપત્ર પાઠવી જંત્રીના ભાવમાં ઘટાડો કરવા જણાવ્યું છે
માણાવદરની વસ્તી ૩૫ હજારની છે અહીં કોઈ મોટા ઉદ્યોગ આવેલા નથી આખો તાલુકો ખેતી ઉપર નિર્ભર છે.આ તાલુકામાં મોટા ભાગની વસ્તી મધ્યમ વર્ગની છે આ શહેરમાં આવેલી કોમર્શિયલ મિલકતોમાં દુકાનોની બજાર કિંમત નક્કી કરતી જંત્રી અન્ય શહેરોની કિંમત કરતાં બે થી ત્રણ ગણી વધારે છે જેને કારણે દુકાન ખરીદનારે ખરીદ કિંમત કરતાં બે થી ત્રણ ગણી વધારે કિંમતનો વેચાણ દસ્તાવેજ કરવો પડે છે. સોના કરતા ઘડામણ વધી જાય છે આને કારણે માણાવદર શહેરમાં દુકાનોના સોદા થતાં અટકી પડ્યા છે ને જે થયા છે તે કેન્સલ થવા લાગ્યા છે
જિલ્લાના જૂનાગઢ શહેરમાં પણ આવો જંત્રી ભાવ નથી માણાવદર થી સાત ગાઉ દૂર આવેલ વંથલી શહેરમાં જંત્રીના ૧ ચો.મીટરના ભાવ ૨૫ હજાર ૫૦૦ છે કેશોદ શહેર ના ભાવ ૪૫૦૦૦ છે અન્ય શહેરોમાં પણ આટલો ઊંચો ભાવ નથી
આવેદનપત્રમાં જણાવ્યું છે કે જંત્રી બનાવતી વખતે ખોટો સર્વે કરી શહેરના વાસ્તવિક ભાવ ની જાણકારી મેળવ્યા વિના સર્વે કરાયો હોવાથી જનતા માથે મોટો બોજ આવી પડ્યો છે ખરેખર તો માણાવદર શહેરના મિલકતના ભાવો વાસ્તવિક વેચાણ મુજબ જંત્રીનો સરેરાશ ભાવ ૧ ચો.મીટર ના ૨૬ હજાર થવા જાય છે જ્યારે હાલનો ભાવ બે થી ત્રણ ગણો વધારે છે જો ફરીથી સર્વે કરી સાચા ભાવો મૂકવામાં આવે તો તે ૨૫ થી ૨૬ હજાર થવાના
દુકાનોના સોદા કેન્સલ થવાથી સરકારને સ્ટેમ્પ ડ્યુટીમાં પણ નુકસાની થઈ રહી છે.માટે માણાવદર શહેર ની જંત્રી ઘટાડવા નાગરિકોએ મુખ્યમંત્રી, સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા તથા જિલ્લા કલેક્ટર, નાયબ કલેકટર તથા માણાવદર મામલતદાર વગેરેને પણ આવેદનપત્રની નકલ મોકલી યોગ્ય કરવા જણાવ્યું છે
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


