રાજકોટ
આઘાતજનક બાબત, ગુજરાત ના રાજકોટ શહેરમાં ૨૪ કલાક ની અંદર ત્રણ પરિણીતાને સાસરીયાઓ દ્વારા ત્રાસ આપ્યાની ફરીયાદ મહિલા પોલીસમાં નોંધાઈ છે. પ્રથમ કિસ્સામાં માવતરને ત્યાં ગોંડલ રોડ પરનાં રિધ્ધી-સિધ્ધી પાર્કમાં રહેતી ૨૬ વર્ષની પરિણીતાએ પતિ દર્શીત, સસરા ઉદયભાઈ મુકુંદભાઈ ભોજાણી અને સાસુ પારૂલબેન વિરૂધ્ધ ૨૦૨૦માં તેને પ્રેમ લગ્ન કર્યા હતાં. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. લગ્નનાં બીજા જ દિવસે સાસુએ કહ્યું કે, વોશીંગ મશીનમાં સિધા કપડા નહી નાખવાના. તને રસોઈ બનાવતા આવડતી નથી. તારા મમ્મી પપ્પાએ કહી શીખડાવ્યું નથી. પતિ અને સસરા કહેતા કે, તારે નીચે કોઈ પાડોશી પાસે બેસવાનું નથી અને કોઈ સંબંધી સાથે વાત કરવાની નથી. તારે સાદો કી-પેઈડવાળો જ મોબાઈલ વાપરવાનો છે, એન્ડ્રોઈડ ફોન નહી. પતિ ‘તારા મમ્મી પપ્પા તને ફોનમાં ચડાવે છે’ તેમ કહી ઝઘડા કરી ત્રાસ આપતો આખરે કંટાળીને ફરીયાદ નોંધાવી હતી. બીજા કિસ્સામાં માવતરને ત્યાં ગાંધીગ્રામનાં જીવંતીકા મેઈન રોડ પર રહેતી ૨૮ વર્ષની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે પતિ મુકેશ, સાસુ મધુબેન રમેશભાઈ રાઠોડ, નણંદ કોમલબેન, નણંદોયા અશ્વિનભાઈ સિધ્ધપરાના નામ આપ્યા છે. ૨૦૧૫માં તેના અને પતિનાં બીજા લગ્ન હતાં. લગ્ન બાદ સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. ત્રણ વર્ષ સુધી ઘર સંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ દારૂ પિવાની ટેવ વાળો હોવાથી દારૂ પી ઘરે આવી ઝઘડો કરી તુ જતી રહે, મારે બીજા લગ્ન કરવા છે તેમ કહેતો. સાસુ ઘરકામ જેવી બાબતે મેણાં ટોણાં મારી ત્રાસ આપતા હતાં. એટલુ જ નહીં પતિને તેના વિરૂધ્ધ ચડામણી કરતા હતાં. નણંદ અને નણંદોયા અવાર નવાર ઘરે આવી બધી વાતમાં ડખલગીરી કરતા હતાં. કંટાળીને માવતરે રીસામણે આવી હતી. વડીલોએ સમાધાન કરાવતા સાસરે ગઈ હતી. પરંતુ ફરીથી પતિ સહિતનાં સાસરીયાઓ ત્રાસ આપવાનું ચાલુ રાખતા આખરે ફરીયાદ નોંધાવી હતી. ત્રીજી ફરીયાદમાં માધાપર ચોકડી પાસે રત્નમ સ્કાય સીટીમાં રહેતી પરિણીતાએ પતિ જયદિપસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા વિરૂધ્ધ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, પતિ નાની નાની વાતમાં ઝઘડો અને મારકુટ કરી અપશબ્દો બોલી, ત્રાસ આપે છે. હાલ પોલીસે ત્રણેય મહિલાની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
