સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકોમાં સિંહના વસવાટ વચ્ચે દીપડાના પણ આંટા ફેરા જીવ મળતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.સા.કુંડલાના આંબરડી ગામના રેવન્યુ વિસ્તારના સીમ માં છેલ્લા ૨ માસથી સિંહ પરિવારના ધામા છે, રોજ બરોજ સિંહો દ્વારા ગામના પાદરમાં આવી ચડી ગાયોનો શિકાર કર્યાની ઘટના સામે આવતી રહે છે. તે વચ્ચે આજે મધરાત્રે બે વાગ્યે એક ખૂંખાર દિપડો ગામની વચ્ચે ત્રાટક્યો હતો. ગામના ધકા વિસ્તારમાં ધામીની દુકાનના ઓટલા ઉપર સૂતેલા શ્વાનને ગળે દબોચી સીમમાં પલાયન થઈ ગયો હતો, ગામમાં આવી ચડેલ દીપડાથી ગામલોકો અને સીમમાં વસવાટ કરતા મજરો અને ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે ત્રણેક માસ અગાઉ આ વિસ્તારમાં દીપડાએ એક શ્રમિક બાળકી ઉપર હુમલો કર્યો હતો,બાળકીનો બચાવ થયો હતો અને દીપડાને વન વિભાગે પાંજરે કર્યો હતો, આજથી એક માસ પૂર્વે ગામના બીડ વિસ્તારમાં એક માલધારી યુવક ઉપર સિંહણે હુમલો કરતા સામન્ય ઇજા પહોંચી હતી. સિંહ, અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના માનવી ઉપર હુમલાના બનાવોને લઈ આંબરડી ગામલોકો,ખેડૂતો અને મજૂરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જોકે ગઇકાલની ઘટનાથી વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે કરવાની કવાયત શરૂ કરી દીધી છે.
