સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
અહીં રસ્તો ક્રોસ કરતી વખતે અકસ્માત થવાની શક્યતાઓ વધુ રહેલી છે. તંત્ર યુધ્ધના ધોરણે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવું શહેરીજનો ઈચ્છે છે.
———————————————————————
સાવરકુંડલા શહેરમાં બરોબર એમ. એલ. શેઠ અંગ્રેજી માધ્યમની શાળા અને હોમગાર્ડ ઓફિસના ખૂણે વળાંક વળતાં અને મહુવા રોડ તરફથી નેસડી રોડ તરફ જતા જાહેર માર્ગ પર આવેલો રસ્તાની બરોબર મધ્યમાં આવેલ જીઈબીના બંને વીજપોલ અને તેમા પણ લાગતાં હોર્ડિંગ્સ રસ્તા પર ક્રોસ કરતા વાહનચાલકો માટે ખરેખર ખૂબ જ જોખમકારક સાબિત થાય છે. આ વિસ્તારમાં આમ તો મહુવા રોડ એટલે ટ્રાફિકથી ધમધમતો હાઈવે અને વાહન ચાલકોને મહુવા તરફથી નેસડી ચલાલા જવા માટે આ ગંભીર વળાંક જ ગણાય.. આમ ભરટ્રાફિકમાં બરોબર વચ્ચે અડીખમ ઉભેલા આ બંને વિદ્યુત પોલનું વિદ્યુત વિભાગ દ્વારા યોગ્ય સ્થાને ખસેડી રાહદારીઓને તથા વાહનચાલકોને કાયમી રાહત થાય તેવા પ્રયાસો કરવા જોઈએ તેમ અહીંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ ગણગણતાં જોવા મળે છે. આ સંદર્ભે સાવરકુંડલા હોમગાર્ડ કમાન્ડર તરીકે ખૂબ જ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં પ્રવિણભાઈ સાવજે પણ આ સંદર્ભે એક ટેલીફોનીક વાતચીતમાં આ અડચણરૂપ વિદ્યુત પોલને યોગ્ય જગ્યાએ ખસેડી લોકોને અને વાહનચાલકોને પડતી મુશ્કેલીનું વીજતંત્ર દ્વારા સત્વરે નિરાકરણ કરવું જોઈએ એવું ખુલ્લામને જણાવ્યું હતું. વળી આ વળાંકને લગોલગ જ શહેરની પ્રતિષ્ઠિત શાળા પણ આવેલી છે. અહીં શાળા છૂટતાં સમયે પણ વિદ્યાર્થીઓને આ રસ્તા પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો તો ત્યાં લાગેલાં હોર્ડિંગ્સને જોઈને વ્યંગમાં પણ કહેતાં જોવા મળે છે કે હે પ્રભુ આ વીજપોલ અહીંથી ખસે એવું વરદાન આપો.!! અને જો ઈશ્ર્વર પ્રસન્ન થઈ જાય અને કહે કે માંગો તો આ પોલને ખસેડવાનું વરદાન જ માંગશે..!!

