સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા શહેરનું આરોગ્ય ક્ષેત્રે નિશુલ્ક સારવાર આપતાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આંખના વિભાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આંખને લગતાં વિવિધ રોગોનું નિદાન તથા સારવાર હવે સાવરકુંડલા શહેરમા નિશુલ્ક પ્રાપ્ત થશે. આમ પણ જેની આંખ ગઈ એનાં જીવનનાં અંધકાર સિવાય કશું હોતું નથી એટલે આંખોની તંદુરસ્તી હોવી જરૂરી છે પરંતુ સમય જતાં વ્યક્તિ આંખનાં વિવિધ રોગોના ભોગ બનતા હોય છે. આવાં અંધારા ઉલેચવાનો ભગીરથ સેવા યજ્ઞ હવે સાવરકુંડલા શહેરનાં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આંખની સારવાર ઉપલબ્ધ થતાં આસપાસના વિસ્તારોને એક ખૂબ સુંદર સુવિધા પ્રાપ્ત થઈ છે. કોવિડ ગાઇડલાઇનનાં નિયમોનું પાલન કરીને સવારનાં ૯ થી ૧ અને બપોરે ૩ થી ૬-૩૦ સુધી આ હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીઓ આવી શકે છે. આ ઉપરાંત તારીખ ૧ ફેબ્રુઆરી થી ૧૫ ફેબ્રુઆરી સુધી સવારે ૯ થી ૧ બપોરે ૩ થી ૬ આ આરોગ્ય મંદિરમાં કેન્સર નિષ્ણાંત ડો. દિપક શેઠ કેન્સરનું નિદાન પણ કરશે. વધુ વિગતો માટે સ્યંમ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરનો સંપર્ક સાધી શકાય છે. આ સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા સંસ્થાની આરોગ્યલક્ષી સેવાઓ દિનપ્રતિદિન વિસ્તાર પામે તે માટે અહર્નિશ પ્રયત્નશીલ રહે છે. અહીં સ્થાનિક કક્ષાએ આ સંસ્થાના સહમંત્રી તરીકે સેવા આપતાં શ્રી ભરતભાઈ જોષી પણ સતત દેખરેખ રાખી સંસ્થાનો સર્વોચ્ચ સ્થાને પહોંચાડવા પ્રયત્નશીલ રહે છે. આ સંસ્થા એટલે એક અનોખું આરોગ્યધામ અહીં નાતજાતના ભેદભાવ વગર માત્ર દર્દીઓને નારાયણનું સ્વરૂપ સમજી સમગ્ર કર્મચારીગણ તથા સંસ્થાના ટ્રસ્ટીઓ દર્દીઓને નિશુલ્ક સારવાર, દવા તથા તમામ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.


