Gujarat

સુરતમાં ‘ઘરના જ ઘાતકી’ નીકળ્યા, ₹5.62 કરોડની છેતરપિંડી

ડાયમંડ સિટી સુરતમાં આર્થિક છેતરપિંડીના બે મોટા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં પિતા-પુત્રની જોડીએ ‘બાય ઈન્ડિયા’ કંપનીના નામે નિવૃત્ત વેપારી સાથે ₹4.76 કરોડની ઠગાઈ આચરી છે, જ્યારે એક કેશ મેનેજમેન્ટ કંપનીના બે કર્મચારીઓએ ₹85.68 લાખની રોકડ રકમ હડપ કરી હોવાનું સામે આવ્યું છે.

‘બાય ઈન્ડિયા’ સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી ₹4.76 કરોડ પડાવ્યા શહેરના સીટી લાઈટ વિસ્તારમાં રહેતા 56 વર્ષીય નિવૃત્ત વેપારી સંજયભાઈ મુરારકાએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી છે. અલથાણની મીરા હોમ્સમાં રહેતા પરવીન પશુપતિ દારૂકા અને તેમના પુત્ર હર્ષ દારૂકાએ ‘બાય ઈન્ડિયા’ કંપનીમાં રોકાણ કરવાથી 25 ટકા જેટલા જંગી વળતરની લાલચ આપી હતી.

સપ્ટેમ્બર 2018 થી માર્ચ 2021 દરમિયાન વેપારી અને તેમના પરિવારે ₹1 કરોડ બેંક ટ્રાન્સફર અને ₹80 લાખ રોકડા મળી મોટું રોકાણ કર્યું હતું. સમય જતાં નફા સાથે લેણી રકમ ₹4,76,53,000 પર પહોંચી હતી. જોકે, જ્યારે નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીઓએ વાયદાઓ કરી કુલ 41 ચેક આપ્યા હતા, જે તમામ બેંકમાં બાઉન્સ થયા હતા. આરોપીઓએ સ્ટેમ્પ પેપર પર કબૂલાત કરી હોવા છતાં નાણાં પરત ન કરતા આખરે ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેશ મેનેજમેન્ટ કંપનીના વિશ્વાસુ કર્મચારીઓએ આચરી ₹85 લાખની ઉચાપત બીજી ઘટનામાં, રેડીયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના બે કર્મચારીઓ અંસારી અબ્દુલ વાહીદ અને અંસારી અબ્દુલ નાસીર વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના અધિકારી પૃથ્વીરાજસિંહ જાડેજાની ફરિયાદ મુજબ, આ બંને કર્મચારીઓનું કામ વિવિધ ક્લાયન્ટ્સ પાસેથી રોકડ એકત્ર કરી બેંકમાં જમા કરાવવાનું હતું.

તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આ બંને આરોપીઓ ગ્રાહકો પાસેથી ઉઘરાવેલી રકમ કંપનીના ખાતામાં જમા કરાવવાને બદલે પોતાની પાસે રાખી લેતા હતા. આ રીતે તેમણે કુલ ₹85,68,022 ની મસમોટી રકમની ઉચાપત કરી હોવાનું ખુલતા પોલીસે ગુનાહિત કાવતરા હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.