સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચૂક્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્ર-ક્ચ્છનું પાણિયારૂં છે છતાં ઝાલાવાડના ખેડૂતો જ નર્મદાનાં જળથી વંચિત છે. પાણીની માગણી સાથે હાલમાં તમામ ગામોમાં બેઠકોનું આયોજન કરાયું છે, જેમાં ખેડૂતોને સમગ્ર કામગીરી અને કાર્યક્રમથી વાકેફ કરાય છે. સંગઠન શક્તિ વધુ મોટી બને અને મોટી સંખ્યામાં ખેડૂતો આ લડતમાં જાેડાય તે માટે તમામ ગામોમાં સરપંચ, તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો અને ખેડૂતોને મળી આગળની રણનીતિ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ સંગઠનનું એક નામ આપી એક બેનર નીચે તમામ ગામોના ખેડૂતો સરકારમાં રજૂઆત કરશે. આ આયોજનના અનુસંધાને મુળી તાલુકાના દુધઈ વડવાળા મંદિરે મહંત રામબાલકદાસજી બાપુના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તમામ ગામોના સરપંચ અને સભ્યો ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ ગામોમાં આજ સુધી કેનાલ માટે કે સૌની યોજના થકી નર્મદાનાં નીર ખેડૂતોનાં ખેતર સુધી પહોંચી શકે તેવું કોઈ પણ આયોજન સરકારે કર્યું નથી કે કોઈ સરવે પણ કરાયો નથી. ખેડૂતો આ બાબતે ૮ વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે. નર્મદાનાં નીર માટે રણશિંગુ ફૂંકી લડી લેવાના મૂડ સાથે સરકાર યોગ્ય કાર્યવાહી નહી કરે તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો અને ચૂંટણી બહિષ્કાર કરવા સહિતની ચીમકી ઉચ્ચારી છે. મૂળી તાલુકામાંથી નર્મદાની ૩ લાઇન પસાર થાય છે, જેમાંથી સમગ્ર સૌરાષ્ટ્રને પાણી પહોંચાડાય છે પરંતુ કૂવાકાંઠે જ તરસ્યા છે. આથી ખેડૂતોને પાણી નથી મળી રહ્યુ અને લોકોને માત્ર ચોમાસા પાક આધારીત રહેવુ પડે જેથી તંત્ર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તેવી અમારી માંગ છે. ‘ધ્રાંગધ્રાનાં અમુક ગામોમાં ખેડૂતોને પિયત માટે નર્મદાનાં પાણી અપાય છે જ્યારે અમુક ગામોને નથી અપાતું. આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતાં ઓરમાયું વર્તન કરાય છે. આથી ખેડૂતોને ન્યાય અપાવવા સંગઠન બનાવાયું છે. નર્મદાનાં પાણી માટે રાત્રીસભાઓ યોજાઈ રહી છે. જાે ખેડૂતોની માંગ પૂરી નહીં થાય તો આંદોનનો માર્ગ અપનાવવો પડશે. જિલ્લામાંથી પસાર થતી સૌરાષ્ટ્રની મુખ્ય કેનાલમાંથી છોડાતા પાણીને જે તે તાલુકાના બ્રાન્ચ દ્વારા તાલુકામાં પેટા કેનાલની મદદથી વિતરીત થતું હોય છે. વઢવાણમાં બોટાદ કેનાલ, ધ્રાંગધ્રામાં મોરબી શાખા, માળિયા શાખા કેનાલ સહિતમાં પાણી વિતરીત થતું હોય છે. મૂળીમાં અમુક ગામો સુધી કેનાલના પાણી વિતરણ થતા હોય છે. ત્રણેય તાલુકાના ખેડૂતોને બોરમાંથી ૫૦૦ ફૂટ ઊંડેથી પાણી ખેંચીને ખેતી કરવી પડે છે. પરંતુ આ પાણી ૨૦૦૦ ટીડીએસવાળું હોઈ ખેતી માટે નુકસાનકારક છે.


