ગીર સોમનાથ
માસીક શિવરાત્રિ પર્વે જગવિખ્યાત સોમનાથ મહાદેવનું મંદિર ભાવિકો માટે રાત્રિ સુધી ખુલ્લુ રહ્યું હતુ. આ તકે મધ્યરાત્રિએ સોમનાથ મહાદેવને જ્યોતપૂજન, મહાપૂજા અને મહાઆરતી કરવામાં આવી હતી. આ તમામ દર્શન અને પૂજાનો લાભ લઈ મોટી સંખ્યામાં શિવભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બની ગયા હતા. તો મધ્યરાત્રિએ ભાવિકોને હર હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બની ગયુ હતુ. પ્રથમ જ્ર્યોતિલંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મંદિર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતી માસિક શિવરાત્રિ ઉજવણીમાં ભાગ લેવા માટે દુર દુરથી મોટી સંખ્યામાં ભાવિકો સોમનાથ આવી પહોંચે છે. ત્યારે માસિક શિવરાત્રિ નિમિતે પણ મોડીરાત્રિના મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો મંદિરએ પહોંચ્યા હતા. ત્યારે મધ્યરાત્રિએ સોમનાથ મંદિર ખાતે ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ, કલકતાના આદ્યશક્તિ પીઠના મહંત સંતાનંદ પુરીજી મહારાજ સહિતના મહાનુભાવોના હસ્તે જ્યોતપૂજન કરવામાં આવ્યુ હતું. બાદમાં સોમનાથ મહાદેવને વિવિધ દ્રવ્યો અર્પણ કરી મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારપછી મહાઆરતીમાં કરવામાં આવી હતી. આ તકે મંદિરએ પહોંચેલ મોટી સંખ્યામાં શિવભક્તોના હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, પરીસર ગુંજી ઉઠવાની સાથે તીર્થનું વાતાવરણ શિવમય બની ગયુ હતુ. અત્રે નોંધનીય છે કે, અગાઉ ઘણા વર્ષોથી નિત્યક્રમ મુજબ સોમનાથ મંદિર વર્ષમાં એક જ વખત મહાશિવરાત્રીના દિવસે જ આખી રાત્રી ભાવિકો માટે ખુલ્લુ રહેતુ હતુ. જયારે બાકીના દિવસોમાં મંદિર સવારે થી રાત્રી સુધી જ ખુલ્લુ રહેતુ હતુ. દરમિયાન છેલ્લા થોડા સમયથી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મંદિર ખાતે માસિક શિવરાત્રિની ઉજવણી કરવાનું નક્કી કરીને આ દિવસે ભાવિકો માટે મંદિર મધ્યરાત્રિના ખુલ્લી રાખીને મહાદેવને મહાપૂજા, મહાઆરતી સાથે જ્યોતપૂજન કરવાની શરૂઆત કરવામાં આવે છે. ત્યારથી મધ્યરાત્રિએ થતા દર્શન અને પૂજાઓનો લાભ લેવા માસિક શિવરાત્રિએ ધીમે ધીમે ભાવિકોનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધતો જાેવા મળી રહ્યો છે.


