જામનગર
જામનગરમાં શીવમપાર્ક -૩ પ્લોટ નંબર-૨૧૭, મેહુલનગર ટેલીફોન એકચેન્ઝ રોડ પર આવેલા નીલેશભાઈ લવજીભાઈ દોમડીયા નામના વેપારીના બંધ મકાનને તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૧થી તા.૧ ફેબ્રુઆરી, ૨૦૨૨ના ગાળા દરમિયાન કોઈ ચોર શખ્સે નિશાન બનાવ્યું હતું. મકાનના દરવાજા બહાર મારેલા તાળાને ચાવીથી જ ખોલી અંદર પ્રવેશ કરી કોઈ શખ્સ કબાટના લોકને ખોલી અંદરથી રોકડા રૂપિયા ૩૦ લાખ તથા રૂ. ૨.૩૦ લાખની કિંમતના સોનાના દાગીના તથા એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૩૨.૫૦ લાખની ચોરી કરી લઇ ગયો હતો. જેમાં પોલીસે મકાન માલિકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં એલસીબી પોલીસ સ્ટાફના યશપાલસિંહ જાડેજા ,હરદીપભાઈ ધાંધલ અને યોગરાજસિંહ રાણાને મળેલી ચોક્કસ હકીકતને લઈને ગઈકાલે બુધવારે જ ખોડિયાર કોલોની વિસ્તારમાં મેર સમાજ પાસેથી એક મોટર સાયકલ સાથે ઉભેલા જશ્મીનભાઈ મનસુખભાઈ વિરાણી નામના શખ્સને આંતરી લીધો હતો. પોલીસે આ શખ્સને પકડી પાડી પૂછપરછ કરી હતી. જેમાં આ શખ્સે ચોરી કરી હોવાની કબુલાત કરી રૂપિયા ત્રીસ લાખની રોકડ અને સોનાના દાગીના કાઢી આપ્યા હતા. પોલીસે આ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


