દેશવાસીઓને મદદરૂપ થવા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે: કૃષિમંત્રીશ્રી
જામનગર તા.૯ જૂન, જામનગરનાં ટાઉનહોલ ખાતે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધીઓ ગરીબ કલ્યાણ , સેવા અને સુશાસન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ કેન્દ્ર સરકારના પ્રજાલક્ષી કાર્યો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની જનતાને સુખાકારી મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ આજે ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને જરૂરીયાતમંદોને મળી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારે અનેક ઉપલબ્ધીઓ હાંસલ કરી છે. કોરોનકાળમાં આપણા ભારત દેશે જે લડત આપી તે સમગ્ર વિશ્વ માટે દાખલારૂપ છે. વધુમાં મંત્રીશ્રીએ સરકારે હાથ ધરેલા સ્વચ્છતા અભિયાન , મહિલા સુરક્ષા, ભ્રષ્ટાચારને નાબુદ કરવા લીધેલા પગલાંઓ, ખેડૂતો માટેની વિવિધ યોજનાઓ, ગરીબ કલ્યાણની પ્રવૃત્તિઓ સહિતની અનેક વિકાસલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યા હતા. રાજ્ય કૃષિવિભાગ કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ ખેડૂતોની આવક બમણી થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. તેમજ ૮ વર્ષ દરમિયાન સરકારે દેશના છેવાડાના માનવીની પણ ચિંતા કરી છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ પરથી ૧૮ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ જેવી કે મા અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, દિવ્યાંગ યોજનાનાં લાભો અર્પણ કરવામાં આવ્યા હતા.તે બદલ લાભાર્થીઓએ સરકાર તેમજ જામનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મૂંગરા, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન શ્રી ભરતભાઈ, પ્રાંત અધિકારી (ગ્રામ્ય) શ્રી ધાર્મિક ડોબરીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કીર્તનબેન રાઠોડ સહિત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.


