જામનગર જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે યોગ્ય અને સચોટ માહિતી મળી રહે તે હેતુથી ‘આત્મા પ્રોજેક્ટ‘ ડાયરેકટરની કચેરી દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ તાલીમ અંતર્ગત આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ડી. એમ. મકવાણા દ્વારા તાલીમમાં ઉપસ્થિત તમામ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિભાવના મુજબ ૧ ગામ દીઠ ૭૫ ખેડુત હેઠળ પ્રાકૃતિક કૃષિ અપનાવે તે સંકલ્પને સાર્થક કરવા માટે કૃષિ, સહકાર અને ખેડુત કલ્યાણ વિભાગ હેઠળ આવતા અને તેને સંલગ્ન વિભાગના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ આ યોજનાનો વેગ વધારવા માટે પ્રચાર- પ્રસાર વધુ થાય તે હેતુથી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તાલીમના અધ્યક્ષ શ્રી બી. એમ. આગઠ, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) દ્વારા તમામ અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓને પ્રાકૃતિક કૃષિ અંતર્ગત આગામી તાલીમો અને પ્રચાર-પ્રસાર અંગે સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
આ તાલીમમાં પ્રશિક્ષક આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી ડી. એમ. મકવાણા દ્વારા જીવામૃત, ઘન- જીવામૃત અને પ્રાકૃતિક કૃષિમાં બીજને પટ આપવા માટે ઉપયોગમાં લેવાતું તેમજ ફૂગનાશક તરીકે વપરાશમાં લેવાતું બીજામૃત વગેરે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આત્મા પ્રોજેક્ટ જામનગરના ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટર શ્રી જીજ્ઞેશ બી. પટેલ દ્વારા રોગ જીવાતના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો વિશે સરળ માહિતી આપવામાં આવી હતી. શ્રી એન.એમ.કામરિયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના શ્રી એચ. એસ. ગોધાણીએ ખેડુતોને સરળ શૈલીમાં માર્ગદર્શન આપ્યું હતું. આ સમ્રગ તાલીમનું સફળતાપુર્વક આયોજન આત્મા પ્રોજેક્ટ, જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું.


