Gujarat

દ્વારકા મંદિરે દબાણો હટાવવા તંત્ર સક્રિય

દ્વારકા શહેરમાં દ્વારકાધીશ મંદિર આસપાસ અને મુખ્ય માર્ગો પરના હંગામી દબાણો દૂર કરવા પોલીસ અને પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. આજે સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ દબાણકારોને ચેતવણી આપી હતી.

આ કામગીરી પીઆઈ જાડેજા અને ચીફ ઓફિસર ગઢવીના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. તંત્રની ટીમે મંદિર વિસ્તાર અને મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. જાહેર માર્ગો પર અવરજવર સરળ રહે અને યાત્રાળુઓ તેમજ સ્થાનિક નાગરિકોને અગવડતા ન પડે તે હેતુથી દબાણકારોને સ્વૈચ્છિક રીતે હંગામી દબાણો દૂર કરવા સૂચના અપાઈ હતી.

પોલીસ અને પાલિકાના સંયુક્ત અભિગમનો ઉદ્દેશ્ય શહેરની માર્ગ વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનો તથા જાહેર સ્થળોને ખુલ્લા રાખવાનો છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ માર્ગ વ્યવસ્થા પર સતત દેખરેખ રાખવામાં આવશે તેવો સંકેત અપાયો છે.